મોરબી: શ્રી સોમનાથ મહાદેવ મંદિર પર થયેલા આક્રમણના ૧,૦૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે સમગ્ર ભારતવર્ષમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ શ્રદ્ધા, ભક્તિ અને ગૌરવભાવ સાથે ઉજવાઈ રહ્યું છે. આ પર્વ અંતર્ગત સોમનાથની પાવન ધરા પર સંગીત, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ સર્જાયો હતો.
આ ભવ્ય આયોજનમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયા, જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ મોરબીના સેવાભાવી અને ભાજપના અગ્રણી અજયભાઈ લોરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા સોમનાથ મહાદેવને નમન કર્યા હતા. આ અવસરે પ્રખ્યાત લોકસાહિત્યકાર શ્રી સાઈરામ દવેના ઉદ્બોધન તથા લોકસમ્રાટ ભજનિક કિર્તીદાન ગઢવીના ભાવવિભોર ભજન પ્રસ્તુતિએ ઉપસ્થિત જનસમૂહને આધ્યાત્મિક ઉર્જાથી સરાબોર કરી દીધો હતો. સંગીત, લોકસાહિત્ય અને ભક્તિરસના સંગમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું હતું.












