મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને લક્ષ્યમાં રાખીને તાજેતરમાં શૈક્ષણિક, સામાજિક અને સંસ્કારાત્મક પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં માર્ગ સુરક્ષા સેમિનાર, જિલ્લા કક્ષાની પ્રતિભાશોધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન અને આનંદમય વન ભોજનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
નવયુગ કોલેજના વિદ્યાર્થીઓ માટે મોરબી RTO કચેરી દ્વારા માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો હતો. RTO અધિકારી આર. એ. જાડેજાએ ટ્રાફિક નિયમો, માર્ગ સલામતી અને જવાબદાર વાહન વ્યવહાર અંગે માર્ગદર્શન આપ્યું હતું, જેનાથી વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા પ્રત્યે સચેતતા વધી હતી.
મોરબી જિલ્લા કક્ષાની બાલ પ્રતિભાશોધ સ્પર્ધામાં નવયુગના ધોરણ 4 થી 8ના વિદ્યાર્થીઓએ એકપાંત્રીય અભિનય, નિબંધ, વાદન (ઢોલ) અને સમૂહ ગીત જેવી સ્પર્ધાઓમાં જિલ્લામાં પ્રથમ અને ઉચ્ચ ક્રમ પ્રાપ્ત કર્યા હતા. આ વિદ્યાર્થીઓએ ઝોન કક્ષાએ વડોદરા માટે પસંદગી મેળવી સંસ્થાનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું હતું.
આ ઉપરાંત, મકનસર વીડી ખાતે કેજીથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે વન ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રમતો, સહભોજન અને આનંદસભર પળો માણી હતી, જે તેમના માટે એક યાદગાર અનુભવ બની રહ્યો હતો.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ આ અંગે જણાવ્યું હતું કે, “અમે માત્ર અભ્યાસ પૂરતું શિક્ષણ નથી આપતા, પરંતુ વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા જેવી જીવનોપયોગી સમજ, પ્રતિભા વિકાસ અને વન ભોજન દ્વારા કુદરત પ્રત્યે લાગણી અને સંસ્કાર વિકસે તે માટે સતત પ્રયત્નશીલ છીએ. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ એ જ નવયુગની સાચી સફળતા છે.” પ્રમુખના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગીય વડાઓએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.













