મોરબી: વિશ્વકર્મા ફાઉન્ડેશન, મોરબી દ્વારા સંચાલિત અને શ્રી વિશ્વકર્મા લુહાર સમાજ, મોરબી દ્વારા મોરબીના આંગણે ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય શ્રી વિશ્વકર્મા પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું આયોજન 13/01/2026 થી 19/01/2026 દરમિયાન બહુચર પાર્ટી પ્લોટ, નવલખી રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજન સમસ્ત લુહાર જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે કરાયું છે તેમજ કથાના વક્તા હિરેનભાઈ પંચાલ રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ બપોરે 2:00 થી 7:00 વાગ્યા સુધીનો રહેશે.
પુરાણ કથાનો શુભારંભ 13/01/2026 (મંગળવાર) ના રોજ સવારે 8:00 વાગે એક ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાથી થશે. આ પોથીયાત્રા દરબાર ગઢથી શરૂ થઈને નગર દરવાજા, લુહાર બજાર, જડેશ્વર મંદિર, નવલખી રોડ થઈને બહુચર પાર્ટી પ્લોટ (કથામંડપ) પહોંચશે. આ શોભાયાત્રામાં વિશ્વકર્મા બંધુઓને પોતાના વાહન સાથે જોડાઈને દાદાનું સ્મરણ કરતા કરતાં ધામધૂમથી આ ઉત્સવમાં સહભાગી થવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ સપ્તાહ દરમિયાન પુરાણમાં વિવિધ પ્રસંગોની ઉજવણી થશે:
13/01 (મંગળવાર): વિશ્વકર્મા પ્રાગટ્ય
14/01 (બુધવાર): વાસુદેવ પ્રાગટ્ય
15/01 (ગુરુવાર): પાંચ પુત્રો પ્રાગટ્ય
16/01 (શુક્રવાર): ભગવતી રાંદલ પ્રાગટ્ય
17/01 (શનિવાર): સૂર્યનારાયણ – રન્નાદે વિવાહ
સમગ્ર વિશ્વકર્મા સમાજ, દાદાના ચાહકો અને વંશજોને સપરિવાર આ દિવ્ય પુરાણના ઉત્સવમાં જોડાઈને શોભાયાત્રા અને કથાનો લાભ લેવા માટે નિમંત્રણ છે. કથાનું લાઈવ પ્રસારણ vishwakarmafoundationmorbi યુ ટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. કથાના મુખ્ય યજમાન તરીકે અમરશીભાઈ નરશીભાઈ કવૈયા અને સુશીલાબેન અમરશીભાઈ કવૈયા, તેમજ તેમના પરિવાર અમિતભાઈ, હીનાબેન, નીખીલ અને મોહિત કવૈયા દ્વારા કરાયું છે. આ આયોજન દાતાઓના સહયોગથી સંપન્ન થશે, જેમાં સાધુ-સંતો અને સામાજિક અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.











