મોરબી મહાપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલા નવા વોર્ડ સીમાંકન સામે સમસ્ત બોરીયા પાટી વિસ્તારના રહીશો દ્વારા રાજ્ય ચૂંટણી આયોગને પત્ર લખીને સીમાંકનમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા અને જનહિતમાં સુધારા કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે બોરીયા પાટી જેવા એક જ સળંગ વિસ્તારને વોર્ડ નં. 11 અને વોર્ડ નં. 13 એમ બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. ખાસ કરીને વોર્ડ નં. 13 માં સમાવિષ્ટ ચાવડાની વાડી, મેઘાણીની વાડી અને હદાણીની વાડી સહિતના વિસ્તારોને વોર્ડ નં. 11 માં ભેળવી દેવા અપીલ કરાઈ છે, જેથી સમગ્ર વિસ્તાર એક જ વોર્ડ હેઠળ રહે અને સ્થાનિકોને વહીવટી કામગીરીમાં સરળતા રહે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, આલાપ પાર્ક અને સાયન્ટિફિકની વાડી જેવા વિસ્તારોને પણ અલગ-અલગ વોર્ડમાં વિભાજીત કરાયા છે, પરંતુ કઈ શેરી કયા વોર્ડમાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બાજુ-બાજુમાં આવેલા વિસ્તારોને ત્રણ અલગ-અલગ વોર્ડમાં રાખવાના નિર્ણય સામે પણ લોકોએ સવાલ ઉઠાવ્યા છે. આ પ્રકારના વિભાજનથી ભવિષ્યમાં મતદારો અને પ્રતિનિધિઓ વચ્ચે સંકલનનો અભાવ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
સીમાંકન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે રહીશોએ માંગ કરી છે કે, માત્ર નામોની યાદી આપવાને બદલે ક્ષેત્રફળ આધારિત સત્તાવાર નકશો જાહેર કરવામાં આવે. જો વોર્ડનો નકશો જાહેર થાય તો જ સામાન્ય જનતા સમજી શકે કે તેમનો વિસ્તાર કયા વોર્ડમાં સમાવિષ્ટ છે. અંતમાં, રહીશોએ આ બાબતે ત્વરિત યોગ્ય કાર્યવાહી કરી જરૂરી સુધારા કરવા મુખ્ય ચૂંટણી કમિશનરને અપીલ કરી છે.











