ટંકારા : ટંકારા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. સામાજિક સમરસતા અને શૈક્ષણિક પ્રગતિના પ્રતીક સમાન નવનિર્મિત ડો. ભીમરાવ આંબેડકર ભવનનું તારીખ 16 જાન્યુઆરી ને શુક્રવારના રોજ ભવ્ય સમારોહમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભવન આગામી સમયમાં સમાજ માટે વિશાળ શૈક્ષણિક સંકુલના પ્રથમ પગથિયા સમાન બની રહેશે.
આ લોકાર્પણ વિધિમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં મુખ્યત્વે સાંસદો વિનોદભાઈ ચાવડા (મોરબી-કચ્છ), કેસરીદેવસિંહજી (રાજ્યસભા), મોહનભાઈ કુંડારીયા (રાજકોટ પૂર્વ સાંસદ), ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, જ્યંતિભાઈ રાજકોટીયા, જીલ્લા ભાજપ અઘ્યક્ષ,જિલ્લા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કમળાબેન ચાવડા, સામાજિક અગ્રણીઓ અન્ય કર્મશીલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ સમાજને દિશા આપતા પ્રવચનો કર્યા હતા. રાજવી કેસરીદેવસિંહજીએ બંધારણના પાયાના મૂલ્યો એવા સમાનતા અને માનવતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. સાંસદ વિનોદભાઈ ચાવડાએ રાજકીય સત્તાના માધ્યમથી સામાજિક પરિવર્તન અને ઉત્થાન કેવી રીતે લાવી શકાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. સમાજ કલ્યાણ નિયામક છાશિયાએ સરકારની વિવિધ શિક્ષણ અને કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી સમાજને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. મહંત લાલદાસબાપુએ ધાર્મિકતા અને ડો. બાબા સાહેબની વિચારધારાનો સમન્વય કરી ઊંડાણપૂર્વકની સમજ આપી હતી.












