મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમ મોરડીયાએ ગામ નજીક આવેલી પેપર મિલોના ગંભીર પ્રદૂષણ સામે કડક વલણ અપનાવ્યું છે. કારખાનાઓમાંથી નીકળતો ઘુમાડો અને ખુલ્લેઆમ બહાર નાંખવામાં આવતાં કેમિકલથી ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શ્વાસની તકલીફ, પાણી અને ખેતી પર અસર સહિત આરોગ્ય જોખમો વધતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ મુદ્દે અગાઉ સરપંચ દ્વારા GPCBથી લઈ NGT સુધી રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન પણ થયું, છતાં હજી સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિણામે તંત્રની બેદરકારી સામે રોષ વધ્યો છે. 3 મહિના પહેલા કેમિકલયુક્ત પાણીના કારણે અનેક માછલાઓના મોત પણ થયા હતા.
આ અંગે ગત વર્ષે જાન્યુઆરી-2025માં ગોર ખીજડીયા ગ્રામ પંચાયત દ્વારા જીપીસીબીના ચેરમેનને લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ એક વર્ષ વીતી જવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિસ્થિતિમાં તાત્કાલિક સુધારો ન થાય તો આગામી 2-3 દિવસમાં સરપંચ સહિત ગ્રામજનો ભૂખ હડતાળ પર બેસશે તેવી કડક ચીમકી આપવામાં ઉચ્ચારવામાં આવી છે. ગ્રામજનોએ દૂષિત કારખાનાઓ સામે તાત્કાલિક કાર્યવાહી, પ્રદૂષણ નિયંત્રણ અને આરોગ્ય સુરક્ષાની માગ સાથે સ્પષ્ટ કર્યું છે કે હવે સહનશક્તિની હદ પૂરી થઈ છે.











