મોરબી મહાનગરપાલિકાની કામગીરી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. મોરબીની જનતાના ટેક્સના પૈસે ચાલતા તંત્રની અયોગ્ય આયોજનબદ્ધતાના કારણે ફરી એકવાર નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આજે મોરબી શહેરના સૌથી વધુ ટ્રાફિક જામ થનારા વિસ્તારોમાંના એક એવા રવાપર રોડ પર સાંજના લગભગ 7 વાગ્યાના અરસામાં ગટર સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયગાળામાં રોડ પર ભારે વાહન વ્યવહાર હોય છે, તે છતાં મહાનગરપાલિકાની ગટર સફાઈ વેન રોડના અડધા ભાગમાં ઊભી રાખીને કામગીરી કરવામાં આવતાં લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ મામલે મોરબી જિલ્લા કોંગ્રેસ આઈટી સેલના પ્રમુખ જયભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આવી કામગીરી રાત્રિના સમયે કે વહેલી સવારે કરવી જોઈએ, જેથી વાહનચાલકોને તકલીફ ન પડે. પરંતુ કામ કરવાની સમયસૂચિ અંગે કોઈ વિચારણા ન કરવામાં આવતાં મહાનગરપાલિકાની બેદરકારી જાહેરમાં ખુલ્લી પડી છે. જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો મનમાની રીતે કામ કરી જનતાને પરેશાન કરી રહ્યા છે. આ પ્રકારની અંધેરી વહીવટ બંધ કરી કામ કરવાની પદ્ધતિમાં તાત્કાલિક સુધારો લાવવામાં આવે અને જનતાના સમયની કિંમત સમજી કાર્યવાહી કરવામાં આવે, નહિતર મોરબીની જનતાનો રોષ ઝીલવા મહાનગરપાલિકાને તૈયાર રહેવું પડશે.












