મોરબીનો સાહિલ મજોઠી જે યુક્રેનમાં કેદ છે. તેનું નામ જો કેદીઓના ટ્રાન્સફર લિસ્ટમાં આવશે તો તેને રશિયા મોકલી દેવામાં આવશે. અને જો સાહિલને રશિયાને હવાલે કરવામાં આવે છે તો તે ક્યારેય છૂટી નહીં શકે અને તે જીવિત રહેશે કે કેમ તેના ઉપર પણ પ્રશ્નાર્થ છે. તેવુ હાલ સાહિલનો કેસ સંભાળી રહેલા એડવોકેટ દિપા જોશેફે કહ્યું છે.
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હસીનાબેન માજોઠીનો દીકરો સાહિલ માજોઠી વર્ષ 2024માં રશિયા ખાતે અભ્યાસ કરવા માટે ગયો હતો. સાહિલ ત્યાં કુરિયર સર્વિસમાં જોબ કરતો હતો. આ દરમિયાન તેને આપવામાં આવેલ પાર્સલની અંદર ડ્રગ્સ છે તેવું કહીને તેને પકડવામાં આવ્યો હતો અને પાર્સલ ક્યાંથી આવ્યું તે વિશેની સંપૂર્ણ માહિતી સાહિલ માજોઠીએ રશિયન પોલીસને આપી દીધી હતી. તેમ છતાં પણ સાહિલ માજોઠી સામે કેસ ચલાવીને તેને સાત વર્ષની સજા કરવામાં આવી હતી. તે રશિયાની જેલમાં હતો ત્યારે યુદ્ધ લડવા માટે થઈને તેને અલગ અલગ પ્રકારના પ્રલોભનો આપવામાં આવ્યા હતા અને અંતે તેને ટેકનિકલ કામ કરવાનું છે તેવું કહીને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે થઈને મોકલવામાં આવ્યો હતો. જો કે, સાહિલ માજોઠીએ યુક્રેન બોર્ડર ઉપર જઈને યુદ્ધ લડવાના બદલે ત્યાં આત્મસમર્પણ કર્યું હતું અને ત્યારથી તેને યુક્રેન સેનાએ કિવ ખાતે આવેલ ડિટેન્શન સેન્ટર ખાતે કેદ કર્યો હતો.
સાહિલ માજોઠીને પરત લાવવા માટે તેના માતા હસીનાબેને ગુજરાત સરકાર તથા ભારત સરકારમાં રજૂઆતો કરી હતી તેમજ દિલ્હી હાઇકોર્ટ સુધી આ મામલો પહોંચ્યો હતો અને ત્યારબાદ દિલ્હી હાઇકોર્ટના વકીલ દીપા જોસેફની મદદ લીધી હતી. દિપા જોશેફ થોડા સમય પહેલા યુક્રેનના કિવના ડિટેન્શન સેન્ટર ખાતે સાહિલ માજોઠીને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન સાહિલની તેના માતા સાથે વિડીયો કોલમાં વાત પણ કરાવવામાં આવી હતી.
દીપા જોસેફે કેસ અંગેની વધુ વિગતો જાહેર કરી છે. જેમાં તેઓએ જણાવ્યું કે યુદ્ધમાં કેદીઓને પકડવામાં આવ્યા હોય તો તેને એક્સચેન્જ કરવામાં આવતા હોય છે તેવી જ રીતે જો યુક્રેન અને રશિયા વચ્ચે હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કેદી એક્સચેન્જ કરવાના લિસ્ટમાં સાહિલ માજોઠીનું નામ આવશે તો સાહિલને રશિયા મોલવામાં આવશે. ત્યાંથી સાહિલ ભારત પાછો ક્યારેય આવશે નહીં.
સાહિલે અગાઉ મુકેલા વીડિયોની અંદર રશિયામાં તેની સાથે શું બન્યું તે તમામ માહિતી આપી હતી. જેથી સાહિલને રશિયા મોકલવામાં આવે તો તે જીવિત રહેશે કે કેમ તે પણ કહેવું હાલમાં મુશ્કેલ છે. જેથી ભારત સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સાહિલ માજોઠીને યુક્રેનથી ભારત લાવવા માટેના પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે. જો મોડું થશે તો સાહિલ મુક્ત કરાવી શકાશે નહીં.











