મોરબી: સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની જન્મજયંતી નિમિત્તે આગામી 31 જાન્યુઆરી 2026, શનિવારના રોજ મોરબીમાં ગુર્જર સુતાર જ્ઞાતિ અને ભવન ટ્રસ્ટી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિ અને સંગઠનના આ ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમમાં સમગ્ર જ્ઞાતિજનોને સહપરિવાર પધારવા ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મહોત્સવની શરૂઆત સવારે 09:30 કલાકે રક્તદાન શિબિરથી થશે, ત્યારબાદ સવારે 10:00 કલાકે સન્માન સમારોહ યોજાશે, જેમાં જ્ઞાતિના પ્રતિભાવંત વ્યક્તિઓનું અભિવાદન કરવામાં આવશે. બપોરે 12:15 કલાકે મહાપ્રસાદનું આયોજન શ્રી વિશ્વકર્મા બાગ, વીરપર જી.ઈ.બી. સબ સ્ટેશન પાસે, મોરબી-રાજકોટ હાઈવે ખાતે રાખવામાં આવ્યું છે.
બપોરે 04:00 કલાકે ભગવાન વિશ્વકર્મા દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા શ્રી વિશ્વકર્મા મંદિરથી પ્રસ્થાન કરી ભવાની ચોક, ગ્રીન ચોક, નહેરુ ગેઇટ, શાકમાર્કેટ, એચ.ડી.એફ.સી. ચોક અને વાઘપરા મેઈન રોડ થઈ લખધીરવાસ ચોકથી પરત મંદિર ખાતે વિરામ લેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ અને ભવન ટ્રસ્ટી મંડળ – મોરબી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.











