મોરબી: જૂનાગઢ પુષ્ટિ સંસ્કાર વિદ્યાપીઠ અંતર્ગત કાર્યરત પુષ્ટિ સંસ્કાર પાઠશાળા દ્વારા મોરબીમાં ‘ગીતા જ્ઞાન ઉત્સવ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વિશે માહિતી આપતા પાઠશાળાના સંચાલક હિતેશભાઈએ જણાવ્યું હતું કે, મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબીમાં કાર્યરત પાંચ પાઠશાળાઓના માધ્યમથી આ મહોત્સવ યોજાઈ રહ્યો છે.
આ ઉત્સવ અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ અને ધાર્મિક જ્ઞાન માટે વિશેષ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચિત્ર સ્પર્ધામાં બાળકો માટે રંગપૂરણી હરીફાઈ યોજાઈ હતી. આ ઉપરાંત નિબંધ સ્પર્ધા અને શ્લોક લેખન સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે બપોર પછીના અરસામાં મહારાજ સાહેબની પ્રત્યક્ષ હાજરીમાં પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમદ ભગવદ ગીતા પર આધારિત વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. તેમજ સાંજે મહારાજ સાહેબ દ્વારા શ્રીમદ ભગવદ ગીતાના મહાત્મ્ય પર વિશેષ પ્રવચન આપવામાં આવશે. આ ગીતા જ્ઞાન ઉત્સવમાં મોરબીની સ્થાનિક શાળાઓ તેમજ પુષ્ટિ સંસ્કાર ધામ પાઠશાળાના મળીને અંદાજે 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રબિંદુ શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન નવી પેઢી સુધી પહોંચાડવાનું રાખવામાં આવ્યું છે.










