મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના અવસર પર “પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાન”ની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન ગીતાાંજલી વિદ્યાલય તથા બાલાજી પ્લાસ્ટિકના સહકારથી અમલમાં મૂકવામાં આવ્યું છે.
દેશની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને રાષ્ટ્રીય ફરજ માનતાં આ અભિયાનની શરૂઆત હાલ મોરબીની અમુક સ્કૂલોથી કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસના અવસર પર વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃત કરવા અને તેમને જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા આપવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત સ્કૂલોમાં પ્લાસ્ટિક સંગ્રહ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકની બોટલો, થેલીઓ, પેકેટ્સ તથા અન્ય બિનઉપયોગી પ્લાસ્ટિક કચરો જમા કરાવી શકે છે. એકત્રિત થયેલ પ્લાસ્ટિકને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવશે અને તેમાંથી ઉપયોગી તથા પર્યાવરણમિત્ર વસ્તુઓ તૈયાર કરવામાં આવશે.
મુસ્કાન વેલફેર સોસાયટીના જણાવ્યા અનુસાર, પ્રજાસત્તાક દિવસથી શરૂ કરાયેલ આ અભિયાનને આવનારા સમયમાં મોરબીની મોટાભાગની સ્કૂલો અને વિસ્તારો સુધી વિસ્તૃત કરવામાં આવશે. જેથી “નાના પગલાંથી મોટી અસર”નો સંદેશ ફેલાવીને મોરબીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તરફ એક મજબૂત પગલું ભરી શકાય.










