મોરબી: રાષ્ટ્રીય પર્વની ઉજવણી અને ગામના યુવા ભામાશા યોગેશભાઈ કાનજીભાઈ છત્રોલાના પુત્ર તનયના જન્મદિવસ નિમિત્તે વાઘગઢ પ્રાથમિક શાળામાં એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે શાળાના તમામ બાળકોને વીર ક્રાંતિકારી ભગતસિંહના ફોટાવાળા ટ્રેકસૂટ ભેટ આપવામાં આવ્યા હતા. બાળકોમાં દેશભક્તિ અને ક્રાંતિકારીઓના સંસ્કારો માત્ર એક દિવસ નહીં પરંતુ આખું વર્ષ જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી આ વિશિષ્ટ ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તનયના પિતા યોગેશભાઈ એવું વિચારે છે કે, જન્મદિવસ નિમિત્તે બિનજરૂરી ખર્ચ કરવાને બદલે ગામના અને શ્રમયોગી પરિવારના બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસમાં યોગદાન આપવું વધુ શ્રેષ્ઠ છે. દેશના સાક્ષરતા અભિયાનમાં સહભાગી થઈને આવનારી પેઢી પ્રગતિ કરે તેવા ઉમદા વિચાર સાથે આ સેવાકાર્ય કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, યોગેશભાઈ છત્રોલા તેમજ તેમના માતા દયાબેન અને પિતા કાનજીભાઈ રતનશીભાઈ છત્રોલા દ્વારા અગાઉ પણ શાળામાં રૂમોના ફ્લોરિંગ અને ક્રાંતિવીર બગીચાના ગેટ સહિત લાખો રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. વાઘગઢ પ્રાથમિક શાળા આજે ગ્રામજનોના આર્થિક અને શારીરિક સહયોગથી ભૌતિક સુવિધાઓથી સજ્જ એક આદર્શ ‘ગુરુકુળ’ સમાન બની છે. આ સેવાકીય કાર્ય બદલ શાળા પરિવાર અને સમસ્ત ગામ દ્વારા દાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.










