મોરબીમાં જન્મેલા અને 75% મનોદિવ્યાંગતા ધરાવતા જય ઓરિયાએ પોતાની મર્યાદાઓને માત આપીને વૈશ્વિક ફલક પર નામ રોશન કર્યું છે. માતા-પિતાની યોગ્ય કેળવણી અને અતૂટ વિશ્વાસને કારણે જય આજે રાષ્ટ્રીય સ્તરે દિવ્યાંગો માટે ‘રોલ મોડલ’ સાબિત થયો છે. શારીરિક ફિટનેસ અને આત્મવિશ્વાસના જોરે તેણે અત્યાર સુધીમાં બે પ્રતિષ્ઠિત વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
વર્ષ 2024માં કેદારનાથની પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, વર્ષ 2025માં જયે તેના પિતા સાથે સૌથી કઠિન ગણાતી અમરનાથ યાત્રા પૂર્ણ કરી હતી. પહેલગામથી બાલતાલના રૂટ પર મેડિકલ ફિટનેસ પાસ કરી આ યાત્રા કરનાર તે પ્રથમ મનોદિવ્યાંગ બાળક બન્યો છે. આ દુર્લભ સિદ્ધિ બદલ તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત કરવામાં આવ્યું છે.
કુદરતી પડકારો અને બોલવાની અક્ષમતા હોવા છતાં, જયનો મિત્રવર્ગ ઘણો વિશાળ છે. ટ્રેકિંગ અને એડવેન્ચરના શોખીન જયે સાબિત કર્યું છે કે જો યોગ્ય સપોર્ટ અને પ્રોત્સાહન મળે, તો દિવ્યાંગતા ક્યારેય પ્રગતિમાં અવરોધ બની શકતી નથી. અનેક રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા બાદ હવે તેનું આગામી લક્ષ્ય “હિમાલય બેઝ કેમ્પ” સર કરવાનું છે.









