મોરબી : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી અંગે જનજાગૃતિ અને કડક અમલીકરણની કામગીરી તેજ કરવામાં આવી છે. ચીફ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ તા. 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2026 દરમિયાન 05 સરકારી કચેરીઓના અંદાજે 418 કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને અગ્નિશમન સાધનોના યોગ્ય ઉપયોગ વિશે માહિતગાર કરી કોઈ પણ કટોકટીના સમયે જાન-માલનું નુકસાન અટકાવવાનો છે.
172 કોમ્પ્લેક્ષમાં ફાયર સિસ્ટમ કાર્યરત
ફાયર શાખા દ્વારા શહેરની સમાજવાડીઓ, વ્યાપારી કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (NOC)નું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે બિલ્ડીંગો પાસે NOC નથી તેમને નોટિસ ફટકારી જરૂરી ગાઈડલાઈન આપવામાં આવી છે. તંત્રની કડક કાર્યવાહીના પરિણામે અગાઉ અપાયેલી નોટિસના પગલે અત્યાર સુધીમાં 172 કોમ્પ્લેક્ષ અને 34 સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાડી દેવામાં આવી છે અથવા તેની કામગીરી હાલ પ્રગતિમાં છે. આ ઉપરાંત, ફાયર સેફ્ટી અપ્રુવલ માટે આવેલી નવી 8 અરજીઓને આર.એફ.ઓ. કચેરીમાં આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી છે.
આધુનિક સાધનો સાથે સજ્જ ફાયર ટીમ
છેલ્લા એક સપ્તાહમાં મોરબીમાં આગના 05 બનાવો અને 01 રેસ્ક્યુ કોલ દરમિયાન ફાયર વિભાગના જવાનોએ આધુનિક PPE કીટ અને અદ્યતન સાધનો સાથે સજ્જ થઈ સફળ કામગીરી કરી છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ દુર્ઘટના સમયે તાત્કાલિક ધોરણે મોરબી ફાયર સર્વિસના ટેલિફોન નંબર (02822) 230050 અથવા 101 અને 112 પર સંપર્ક કરવો, જેથી મોટી જાનહાનિ નિવારી શકાય.












