ટંકારા સ્થિત સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે ધોરણ ૧૦ અને ૧૨ની વિદ્યાર્થીનીઓ માટે વિદાયમાન પ્રસંગના ભાગરૂપે એક વિશેષ પરીક્ષાલક્ષી પ્રેરણાત્મક સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીનીઓને બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા માટેની ગુરુચાવી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના નિષ્ણાત માર્ગદર્શક ડૉ. શૈલેષ સગપરીયા મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના આગવી શૈલીમાં વિદ્યાર્થીનીઓને સંબોધતા પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, આત્મવિશ્વાસ ટકાવી રાખવો, સમય વ્યવસ્થાપન (Time Management) તેમજ માનસિક દૃઢતા કેળવવા વિશે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમના ઉર્જાવાન પ્રવચનથી વિદ્યાર્થીનીઓમાં પરીક્ષાનો ડર દૂર થયો હતો અને એક નવી ઉર્જા તથા ઉત્સાહનો સંચાર જોવા મળ્યો હતો.
આ તકે કાર્યક્રમમાં સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ પંચાણભાઈ ભૂત, મંત્રી ધનજીભાઈ ઝાલરીયા, તમામ ટ્રસ્ટીગણ, કેમ્પસ ડાયરેક્ટર અને બીઆરસી કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ટંકારા તાલુકાની વિવિધ શાળાઓના આચાર્યો, શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીનીઓએ હાજરી આપી હતી.
આ સેમિનારના માધ્યમથી વિદ્યાર્થીનીઓને આવનારી બોર્ડની પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ લાવવા માટેનું પ્રોત્સાહન મળ્યું હતું અને તેમનામાં સકારાત્મક વિચારસરણી તથા આત્મનિર્ભરતાનો ભાવ જાગૃત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દીકરીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે આવા શૈક્ષણિક અને પ્રેરણાત્મક કાર્યક્રમોનું નિયમિતપણે આયોજન કરવામાં આવે છે.









