મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હમીરપર ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મૂળ ગાંધીનગરના વતની પરિણીતાના એક વર્ષના લગ્નજીવનમાં જ ગ્રામસેવક પતિ સહિતના સાસરિયાઓએ દહેજ મામલે શારીરિક માનસિક ત્રાસ આપી જીવન દુષ્કર કરી નાખતા મોરબીના ખેવારીયા ગામે રહેતા પતિ, સાસુ, જેઠ અને જેઠાણી વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સાથે જ પરિણીતાએ આરોપ લગાવ્યો હતો કે, તેમના પતિ ભરૂચ નોકરી કરતા હોય પોતાના વતનમાં બદલી કરાવવા માટે પતિ, પત્નીના કિસ્સાનો લાભ લઇ તેમને વોશિંગ મશીન, એસી લાવવા દબાણ કરી ત્રાસ આપવામાં આવી રહ્યો છે.
ચોંકાવનારા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હમીરપર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જ્યોતિબેન દિવ્યેશભાઈ ઉભડિયા ઉ.31ના લગ્ન વર્ષ 2025મા મોરબીના ખેવારીયા આરોપી પતિ દિવ્યેશભાઈ નિલેશભાઈ ઉભડિયા સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા.જો કે, લગ્ન પહેલા દિવ્યેશભાઈ ભરૂચ જિલ્લામાં ગ્રામ સેવક તરીકે નોકરી કરતા હોય સરકારના નિયમ મુજબ પતિ પત્નીને એક જ જિલ્લામાં નોકરી આપવાના નિયમનો લાભ લઈ લગ્ન બાદ દિવ્યેશે ટંકારા તાલુકામાં બદલી કરાવી લીધી હતી.
બીજી તરફ લગ્ન જીવનમાં દસક દિવસ સારી રીતે રહ્યા બાદ જ્યોતિબેનના પતિ દિવ્યેશભાઈ નિલેશભાઈ ઉભડિયા, સાસુ સરોજબેન નિલેશભાઈ ઉભડિયા, જેઠ જયદીપ નિલેશભાઈ ઉભડિયા અને જેઠાણી પિન્ટુબેન જયદીપભાઈ ઉભડિયા નાની નાની બાબતોમાં મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં. જેમાં સાસુ વાત વાતમાં જેઠાણી માવતરેથી એસી, વોશિંગ મશીન લાવ્યા હોય જ્યોતિબેનને પણ વસ્તુઓ લાવવા દબાણ કરતા હતા.આ ઉપરાંત પતિએ જળવીધીની વીંટી માંગતા તેમના તરફથી આપી રોકડ સહિતના વ્યવહાર ઓનલાઈન કર્યા હતા. જો કે, સાસરિયાઓએ સિતમ ગુજારવાનું ચાલુ રાખતા અંતે જ્યોતિબેને પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.








