મોરબી શહેરમાં ગઈકાલે મોડી રાત્રે સરદાર બાગ આગળ સોની સમાજના યુવાન જતીન આડેસરાની નિર્મમ હત્યા થતાં શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ યુવાન પોતાના પરિવાર સાથે રાજકોટ ખાતે એક પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈક ઓવરટેક કરવાની સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતા હુમલો કરવામાં આવ્યો અને યુવાનનું મોત નિપજ્યું હતું. મૃતકને માત્ર ૧૧ માસની દીકરી હોવાને કારણે સમગ્ર શહેરમાં કરુણતા સાથે રોષની લાગણી વ્યાપી ગઈ છે.
આ ઘટનાના તીવ્ર પ્રત્યાઘાત રૂપે સોની સમાજ, વેપારી મહામંડળ અને વિવિધ ટ્રેડર્સ સંસ્થાઓ દ્વારા આજે સ્વયંભૂ અડધા દિવસનો (બપોરે ૨:૦૦ વાગ્યા સુધી) બંધ પાળવામાં આવ્યો હતો. નહેરુ ગેટ, ગ્રીન ચોકથી લઈને દરબારગઢ સુધીની મુખ્ય બજારોમાં દુકાનો બંધ રહી હતી. સોની બજાર ઉપરાંત સ્ટેશનરી અને અન્ય વેપારીઓએ પણ એકતા દર્શાવી સંપૂર્ણ સહકાર આપ્યો હતો. મુખ્ય બજારો સૂમસામ જોવા મળ્યા હતા અને વેપારીઓએ ન્યાયની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વેપારી આગેવાનો દ્વારા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવી વેપારીઓને પૂરતું રક્ષણ આપવામાં આવે તે અંગે પણ આગ્રહ વ્યક્ત થયો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા દિશામાં તપાસ અને કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.









