મોરબી: મોરબી જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય સભામાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વીરપરથી લીલાપર સુધી બની રહેલા રસ્તાનું નામકરણ મોરબીના જાણીતા ઉદ્યોગપતિના નામે કરવાની જાહેરાત કરવામાં આવી છે.
હાલમાં મોરબીના વીરપરથી લીલાપર રોડનું કામ પ્રગતિમાં છે. ત્યારે આજે જિલ્લા પંચાયતની કારોબારી અને સામાન્ય સભામાં આ માર્ગને મોરબીના પાટીદાર સમાજમાંથી આવતા અને જાણીતા ઉદ્યોગપતિ સ્વ. ઓ.આર. પટેલનું નામ આપવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે 15 તારીખે જિલ્લા પંચાયતની મુદત પૂર્ણ થતી હોય, આ અંતિમ સભામાં લોકહિતના કામોની સાથે મહાનુભાવોના બહુમાન પર પણ મહોર મારવામાં આવી છે.











