મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉઠી રહ્યા છે દરમિયાન આજે પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજભાઈ પનારા સહિતના આગેવાનો આજે ડીવાયએસપી કચેરી પહોંચ્યા હતા જ્યાં વ્યાજખોરી, જમીન માફિયા, હનીટ્રેપ અને લુખ્ખા તત્વોના ત્રાસ અંગે રજૂઆત કરવામાં આવી હતી
પાટીદાર યુવા સંઘના અગ્રણી મનોજભાઈ પનારાએ પોલીસ સમક્ષ ૭-૮ ગંભીર ગુનાઓ બાબતે રજૂઆત કરી હતી જેમાં મોરબીમાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી કાર, પ્લોટ અને ખેતર પચાવી પાડતા હોવાની ફરિયાદો સામે આવી હોવાનું જણાવ્યું હતું વેપારીઓ સાથે મોટા પાયે ફ્રોડ અને છેતરપીંડી થઇ રહી છે આપઘાત અને હનીટ્રેપના બનાવો તેમજ લુખ્ખાઓની દાદાગીરી જેવા કિસ્સાઓ રજુ કર્યા હતા ઉપરાંત રોડ પર રોમિયોગીરીને ડામવા તેમજ સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવા માંગ કરી હતી
અઢી લાખના બદલામાં ૧૧ કરોડની જમીન પચાવી પાડી
રજૂઆત કરવા આવેલ પીડિતોમાં એક વૃદ્ધનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં પીડિત વૃદ્ધે જણાવ્યું હતું કે એક વર્ષ પૂર્વે માતા બીમાર હોવાથી સારવાર માટે અઢી લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે રૂપિયા પરત ચૂકવી દીધા છતાં ૧૧ કરોડની કીમતી જમીનનો સોદાખત કરાવી લીધો છે જે અંગે પોલીસ મથકે અરજી કરવા છતાં કાર્યવાહી ના થઇ હતી આજે ડીવાયએસપીએ ફરિયાદ નોંધી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી











