માળીયાના જુના ઘાટીલા ગામે સી.આઈ.એસ.એફના જવાનનું ચાલુ ફરજે કેન્સરની બીમારીથી નિધન થયું હતું. આ અંગે ગામના સરપંચ ઉમેશભાઈ જાકાસણીયા અને આર્મીમેનના કૌટુંબિક ભાઈ વિપુલભાઇ વિડજાએ જણાવ્યું હતું કે, માળિયા મિયાણા તાલુકાના જુના ઘાંટીલા ગામના વિનોદભાઈ મગનભાઈ વિડજા દેશની સેવા અને મા ભોમની રક્ષા કાજે વર્ષ 1993માં અર્ધ લશ્કરી દળ એટલે સી.આઈ.એસ.એફમાં જોડાયા હતા.
તેમણે મદ્રાસથી ફરજ શરૂ કરીને કંડલા પોર્ટ, ઝારખંડ ધનબાદ, ગૌરીદળ, વિરમગામ એમ દેશની અંદર જુદા જુદા શહેરોમાં સુરક્ષાની જવાબદારી બખૂબીથી નિભાવી હતી. જો કે ત્રણ વર્ષ પહેલાં તેમને કેન્સરની ગંભીર બીમારી લાગુ પડી હતી. ગળા અને દાઢમાં કેન્સર હોવાથી એક વખત ઓપરેશનમાં સ્વસ્થ ન થતા બીજી વખત ઓપરેશન કર્યું હતું. આમ છતાં પણ કેન્સરની બીમારી મટી ન હતી. આવી ગંભીર બીમારી હોવા છતાં પણ કેન્સર સામે બહાદૂરીપૂર્વક લડતા લડતા તેમણે પોતાની વતન પ્રત્યેની ફરજ ચાલુ રાખીને એક કર્તવ્ય નિષ્ઠ આમીમેન તરીકે દેશની સેવા કરી હતી.
જો કે છેલ્લે મુંબઈમાં ફરજ બજાવતા હોય પણ બીમારી વધી જતાં અઢી માસથી મેડિકલ લિવ ઉપર હતા અને ચાલુ ફરજે તેમનું કેન્સરની બિમારીથી નિધન થયું હતું.આથી તેમની અંતિમયાત્રામાં શહીદ જવાન અમર રહોના નારા ગુજતા દેશભક્તિની સાથે કૃણાસભર દ્રશ્યો સર્જાયા હતા. તેમની અંતિમ વિધિમાં સેનાના જવાનોએ ઉપસ્થિત રહીને 46 વર્ષીય વિનોદભાઈ વિડજાને ગાર્ડ ઓફ ઓનર આપી તેમની દેશસેવાને સલામી આપી હતી. આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્નેહીજનો પણ અંતિમવિધિમાં જોડાયા હતા.












