મોરબી: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાના હેતુથી મોરબીમાં મેદસ્વિતા મુક્તિ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના સનાળા રોડ પર આવેલી આદર્શ શાળા ખાતે આયોજિત આ કેમ્પમાં શહેરના અનેક જાગૃત નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર વાલજીભાઈ ડાભી અને જિલ્લા કોર્ડીનેટર દેવાંશ્રી પરમારના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો.
કેમ્પ દરમિયાન યોગ-ટ્રેનર કાજલબેન આદ્રોજા અને ઈન્દિરાબેન ફળદુએ સાધકોને મેદસ્વિતા ઘટાડવા માટેના વિશેષ આસનો, પ્રાણાયામ અને શારીરિક વ્યાયામનું સઘન પ્રશિક્ષણ આપ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ તરીકે હરિદ્વારથી પધારેલા સ્વામી વિજય દેવજીએ એક્યુપ્રેશર અને યોગ ચિકિત્સા પર ખાસ સત્ર લીધું હતું, જેમાં તેમણે વિવિધ રોગોમાંથી મુક્તિ મેળવવા માટેની સચોટ ચિકિત્સા પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડી હતી.
આ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાનમાં લાયન્સ ક્લબ-મોરબીના સહયોગથી ‘હેલ્ધી ડાયટ ફૂડ કુકિંગ’ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના થકી પૌષ્ટિક અને સંતુલિત આહારના મહત્વ વિશે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આધુનિક સમયની બદલાતી જીવનશૈલીમાં યોગ અને યોગ્ય આહાર પદ્ધતિને જીવનનો હિસ્સો બનાવી મેદસ્વિતા જેવી સમસ્યાઓથી મુક્ત બનવા અનુરોધ કરાયો હતો. કેમ્પમાં હાજર રહેલા સાધકોએ આગામી સમયમાં પણ યોગ સાથે જોડાયેલા રહેવાનો નિર્ધાર કર્યો હતો.











