મોરબી : મોરબી શહેરમાં આવેલી દેશના ક્રાંતિકારીઓ અને મહાપુરુષોની પ્રતિમાઓની સમયાંતરે સફાઈ અને સમારકામ કરવા માટે ક્રાંતિકારી સેના દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ક્રાંતિકારી સેનાએ તારીખ ૨૬/૦૨/૨૦૨૬ના રોજ મહાનગરપાલિકાના કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, મોરબી શહેરમાં આવેલી ક્રાંતિકારીઓ તથા મહાપુરુષોની પ્રતિમાઓની સમયાંતરે સફાઈ કરવામાં આવે. આ સાથે અમુક જર્જરીત થયેલી પ્રતિમાઓનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્રતિમાઓ પાસે લાઈટો લગાવવાની પણ રજૂઆત કરાઈ છે. જે લોકોએ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે અને દેશને આઝાદી અપાવી છે, તેવા મહાપુરુષોની પ્રતિમા સ્વચ્છ અને લાઈટોથી ઝળહળતી હોવી જોઈએ તેવી લાગણી ક્રાંતિકારી સેનાએ વ્યક્ત કરી છે. આ પ્રશ્નને મહત્વનો સમજીને સત્વરે તેનું નિરાકરણ લાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ ક્રાંતિકારી સેના મોરબી દ્વારા કરવામાં આવી છે.










