મોરબી: તાજેતરમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાનું મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન સફળ રહ્યું છે અને હાલ તેઓ ત્યાં દાખલ છે. ત્યારે તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપી રિકવરી માટે મોરબી શહેર ભાજપ દ્વારા ઠેર-ઠેર પ્રાર્થના અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે ૨૮ તારીખને શનિવારના રોજ મોરબી શહેર ભાજપ પરિવાર દ્વારા શહેરના તમામ ૧૩ વોર્ડમાં હનુમાન ચાલીસાના પાઠ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના વોર્ડ નંબર ૯માં પંચમુખી રોકડીયા હનુમાન મંદિર ખાતે ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ સ્થાનિકો દ્વારા વિશેષ મહાઆરતી તેમજ હનુમાન ચાલીસાના પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપના આગેવાનોના જણાવ્યા અનુસાર કાંતિભાઈ અમૃતિયા ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરીથી મોરબી અને માળિયાની લોકસેવાના કાર્યોમાં લાગી જાય તેવી હનુમાન દાદાના ચરણોમાં સામુહિક પ્રાર્થના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભક્તજનો, સ્થાનિકો અને પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રીના દીર્ઘાયુ તેમજ સારા સ્વાસ્થ્ય માટે કામના કરી હતી.











