ટંકારા : બામસેફના સંસ્થાપક દિના ભાના વાલ્મીકિના ૯૯મા જન્મદિન નિમિત્તે આદિવાસી સમાજના ભગોરિયા મેળા દરમિયાન આદિવાસી સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ઉજવાતા ભગોરિયા મેળાનું સૌરાષ્ટ્ર પંથકમાં સૌપ્રથમ વખત ઉત્સાહપૂર્વક અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાંશીરામ સાહેબના પ્રેરણાસ્ત્રોત અને બહુજન ક્રાંતિના પથદર્શક દિના ભાના વાલ્મીકિની જન્મજયંતી પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક ભગોરિયા મેળા અને સ્નેહ મિલનમાં પાલણપીર મેડીના મહંત દેશા આપાએ ખાસ ઉપસ્થિત રહીને આદિવાસી સમાજના ઈતિહાસ અને સંગઠનના મહત્વ વિશે ઉંડાણપૂર્વક સમજ આપી હતી. આ ઉપરાંત, બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણે ખેતમજૂરોને તેમની તમામ માંગણીઓ બાબતે સંઘર્ષમાં અને નવી રોજગારી ક્ષેત્રે કાયમ મદદરૂપ રહેવાની ખાતરી આપી હતી, તેમજ કાયમી વસવાટ અને સરકારી યોજનાઓ બાબતે જાગૃત રહેવા પ્રેરિત કર્યા હતા.
ભગોરિયા મેળા અને સમિતિના મુખ્ય કન્વીનર એડવોકેટ મનસુખભાઈ ચૌહાણે મૂળનિવાસી સમાજને દરેક સંજોગોમાં સંગઠિત રહીને અવાજ બુલંદ રાખવા અને કોઈપણ પ્રશ્ને કોર્ટના દ્વાર ખટખટાવીને ન્યાય મેળવવા અપીલ કરી હતી. આ રંગારંગ કાર્યક્રમમાં ગુજરાતભરથી પહોંચેલા યુવાઓએ સવારના ૧૧ થી સાંજના ૭ વાગ્યા સુધી ડીજે અને દેશી ઢોલના તાલે મનમૂકીને ઉજવણી કરી હતી.
આ કાર્યક્રમમાં એક અત્યંત સરાહનીય બાબત પણ જોવા મળી હતી. ટંકારા પંથકના અનેક માનવતાવાદી ખેડૂતોએ પોતાના ખેતમજૂરોને ઉપજમાંથી ત્રીજો ભાગ આપવાની સ્વેચ્છાએ જાહેરાત કરી હતી. આ ઐતિહાસિક અને પ્રશંસનીય નિર્ણયને ઉપસ્થિત તમામ આદિવાસી ખેતમજૂરોએ હર્ષોલ્લાસ સાથે વધાવી લીધો હતો.
















