મોરબી: છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગેના અહેવાલો વાયરલ થઈ રહ્યા છે. જોકે આ મુદ્દે ઇન્ડિયન ઓઇલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવા તમામ અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને દેશમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
ઇન્ડિયન ઓઇલના જણાવ્યા મુજબ દેશભરમાં ઇંધણ પુરવઠો અને વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે સામાન્ય રીતે કાર્યરત છે. પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી નાગરિકોએ ગભરાટ પેદા કરવાની જરૂર નથી. કંપની દેશભરમાં અવિરત ઇંધણ પુરવઠો જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવાયું છે.
આ સંદર્ભે મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ વિનોદભાઈ ડાભીએ પણ નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરે. તેમણે જણાવ્યું કે જિલ્લામાં પણ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તમામ પેટ્રોલ પંપ પર નિયમિત રીતે ઇંધણ મળતું રહેશે.
વિનોદભાઈ ડાભીએ નાગરિકોને અનુરોધ કર્યો હતો કે ગભરાટમાં આવીને પેટ્રોલ પંપ પર ભીડ ન કરે અને સચોટ માહિતી માટે ફક્ત સત્તાવાર સ્ત્રોતો પર જ આધાર રાખે.











