મોરબી: કચ્છથી માળિયા થઈ રાજકોટ તરફ પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવતા હોવાની બાતમીના આધારે મોરબીના ગૌરક્ષકોએ દલવાડી સર્કલ પાસે વોચ ગોઠવીને 17 જેટલા જીવો બચાવી લીધા છે અને પોલીસે વાહન સહિતના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી-ગુજરાત અને હિન્દુ યુવા વાહિનીના ગૌરક્ષકોને ચોક્કસ માહિતી મળી હતી કે, કચ્છ બાજુથી એક અશોક લેલેન્ડ દોસ્ત ગાડી (નંબર GJ-36-V-3801) માં 17 જેટલા પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ ગાડી માળિયા થઈને મોરબી બાયપાસથી રાજકોટ મીતાણા તરફ જવાની હતી.
આ બાતમીના આધારે ગૌરક્ષકોની ટીમ વોચમાં હતી. દરમિયાન બાતમી મુજબની ગાડી માળિયાથી પસાર થતા તેનો પીછો કરવામાં આવ્યો હતો અને મોરબી બાયપાસ પર દલવાડી સર્કલ નજીક પોલીસના સહયોગથી તેને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાં નાના-મોટા 17 પાડાઓને ઘાસચારો કે પાણીની સુવિધા વગર અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા.
ઝડપાયેલા વાહન ચાલકની પૂછપરછ કરતા તેની પાસે પશુઓના પરિવહન માટેની કોઈ પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પશુઓ કચ્છથી ભરીને રાજકોટ ખાતે ભાવિન પટેલને ત્યાં ઉતારવાના હતા. આ ગુનામાં ભાવિન પટેલ (ટોયોટા એટીઓસ કાર નં. GJ-03-EL-2506) અને તેના સાથીઓ અરમાન તથા આસિફ (મારુતિ સુઝુકી બ્રેઝા કાર) પોતાની કારમાં પાયલોટિંગ કરી રહ્યા હોવાનું પણ ખુલ્યું છે.
હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ગુનો નોંધી પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ફરાર અન્ય શખ્સોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેવી સમગ્ર વિગતો ગૌસેવકોની યાદીમાં જણાવાય છે.












