મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે બુધવારે બે સ્થળોએ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોરબીના દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના તરફ જવાના રસ્તા પર કેનાલની સમાંતર આવેલા અંદાજે 30 જેટલા ઝૂંપડાઓને પાડી દેવામાં આવ્યા હતા. તેમજ શનાળા ગામથી આગળ જ્યાં વેસ્ટ ઝોન ઓફિસ બનવાની છે તે જગ્યાએ ચાની અને પંચરની દુકાન સહિતના બે થી ત્રણ દબાણોને દૂર કરવામાં આવ્યા છે.
અ અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે દલવાડી સર્કલ પાસે જે ઝૂંપડા હટાવવામાં આવ્યા છે તે અગાઉ ગયા વર્ષે માર્ચ મહિનામાં પણ ડિમોલિશન કરીને હટાવવામાં આવ્યા હતા. પરંતુ ઝૂંપડાવાળા ફરીથી ત્યાં આવી ગયા હતા, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને તકલીફ પડતી હતી અને જગ્યા પર દબાણ થતું હતું જેથી ફરીથી દૂર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ મુખ્ય રસ્તાઓ પર નડતરરૂપ ઝૂંપડા કે અન્ય સ્ટ્રક્ચર હશે તેને ‘વન વીક વન રોડ’ ઝુંબેશ અંતર્ગત દૂર કરવામાં આવશે.











