વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક હાઇવે પર ગત ૧૩ માર્ચની સવારે હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીને કારણે બે ભારે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રસ્તાની વચ્ચોવચ્ચ મૂકવામાં આવેલા સિમેન્ટના બેરીકેટને બચાવવા જતા વાંકાનેર બાજુથી આવી રહેલા ટેન્કર અને રાજકોટ બાજુથી આવી રહેલા આઈસર વચ્ચે ટક્કર થતા આઈસર પલ્ટી ખાઈ ગયું હતું અને ટેન્કરના કેબિનના ભાગમાં મોટું નુકસાન થયું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, હાઇવે પર વાંકાનેર બાજુથી એક ટેન્કર (નંબર GJ 12 BW 7013) અને રાજકોટ બાજુથી એક આઇસર ટ્રક (નંબર GJ 36 V 4409) સામસામે આવી રહ્યા હતા. આ દરમિયાન હાઇવે ઓથોરિટીની ટીમ દ્વારા હાઇવેની વચ્ચોવચ્ચ પ્લાસ્ટિકને બદલે સિમેન્ટનું બેરીકેટ મૂકી દેવામાં આવ્યું હતું. આ બેરીકેટ પર કોઈ રેડિયમ કે લાઈટ લગાવવામાં આવી ન હોવાથી બંને વાહનચાલકોને તે સમયસર દેખાયું ન હતું. અચાનક સિમેન્ટનું બેરીકેટ સામે આવી જતાં તેની સાથે અથડાવાનું ટાળવા માટે બંને ચાલકોએ પોતાના વાહનનું સ્ટીયરીંગ ઘુમાવતા બંને વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ પડ્યા હતા. પરિણામે આઈસર ગાડી પલ્ટી મારી ગઈ હતી અને ટેન્કરને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.
અકસ્માત સર્જાયા બાદ હાઇવે ઓથોરિટીની ટીમે પોતાની બેદરકારી છુપાવવા માટે તાત્કાલિક ધોરણે સિમેન્ટનું બેરીકેટ હટાવીને તેની જગ્યાએ બીજા પ્લાસ્ટીકના બેરીકેટ લગાવી દીધા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાથી વાહન ચાલકો અને માલિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો બેરીકેટ રાખવું જ હતું તો રેડિયમ સાથેનું પ્લાસ્ટિકનું અને થોડું ક્રોસમાં રાખવાની જરૂર હતી. તેને બદલે રસ્તાની વચ્ચોવચ્ચ કોઈ પણ નિશાની વિના સિમેન્ટનું આડું બેરીકેટ મૂકી દેતા વાહન માલિકોને વગર વાંકે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હાઇવે ઓથોરિટીની આ બેદરકારીથી થયેલી મોટી નુકશાનીની ભરપાઈ કોણ કરશે તેવો સવાલ ઉઠી રહ્યો છે.












