મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર તહેવારની હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરની તમામ મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં હાજર રહીને અલ્લાહની બારગાહમાં પોતાના ઈમાનનું સબૂત પેશ કર્યું હતું.
મોરબીની જુમ્મા મસ્જિદથી શહેર ખતીબ રસીદ મીયા બાપુની સરપરસ્તી હેઠળ એક શાનદાર જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો ગ્રીન ચોક, નેહરુ ગેટ રોડ અને સરદાર રોડ થઈને જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી ઈદગાહે પહોંચ્યું હતું. અહીં શહેર ખતીબ રસીદ મીયા બાપુ કાદરીએ ઈદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરાવી હતી. આ વિશેષ નમાજમાં મોરબી શહેર તેમજ આસપાસના ગામડાઓમાંથી હજારો મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા અને એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી.
આ પવિત્ર મોકા પર રસીદ મીયા બાપુ કાદરીએ હિન્દુસ્તાનમાં શાંતિ, અમન-ચેન અને ભાઈચારો કાયમ જળવાઈ રહે તે માટે અલ્લાહની બારગાહમાં ખાસ દુઆ માંગી હતી. નમાજ બાદ ઈદગાહથી પરત ફરેલું જુલુસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ખાટકીવાસ પાસે આવેલી હૈદરી મસ્જિદે સંપન્ન થયું હતું. આ જુલુસમાં હજારોની મેદની ઉમટી હતી.
તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી જિલ્લા પોલીસે સુંદર અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. અંતમાં, રસીદ મીયા બાપુ કાદરીએ તમામ સરકારી કર્મચારીઓ અને હિન્દુ ભાઈઓના સહકાર બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને સૌને દેશની પ્રગતિમાં સિંહફાળો આપવા અપીલ કરી હતી. તેમ યાદીમાં જણાવાયુ છે.











