જરૂરિયાતમંદોને લોન અપાવવા બેંકના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે : વધુમાં વધુ લોકોને લાભ લેવા ડીવાયએસપીની અપીલ
મોરબી : મોરબીમાં ગેરકાયદેસર વ્યાજ વટાવ અને નાણાં ધીરધાર કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તેમજ વ્યાજખોરીનો ભોગ બનેલા નાગરિકોને ન્યાય અપાવવા માટે મોરબી પોલીસ દ્વારા મંગળવારે એક ખાસ જનસંપર્ક સભા (લોકદરબાર) નું આયોજન કરવામાં આવ્યું છે.
ડીજીપી ગુજરાત રાજ્ય, ડીઆઇજી રાજકોટ વિભાગ અને પોલીસ અધિક્ષક મોરબીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી તારીખ 24/03/2026 ના રોજ સાંજે 4:00 કલાકે (16:00 કલાકે) મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ જનસંપર્ક સભા યોજાશે. જેમાં ગેરકાયદેસર વ્યાજખોરીનો ભોગ બનેલા નાગરિકોની રજૂઆતો અને ફરિયાદો સાંભળી તેનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં માત્ર ફરિયાદો જ નહીં, પરંતુ લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો, શિડ્યુલ્ડ બેંકો, કો-ઓપરેટીવ બેંકો અને માઇક્રો ફાઇનાન્સના પ્રતિનિધિઓ પણ હાજર રહેનાર છે. જેથી જરૂરિયાતમંદ નાગરિકોને બેંકો પાસેથી સરળતાથી લોન મળી શકે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ અંગેની માહિતી આપતા મોરબી ડીવાયએસપી જે.એમ. આલે જણાવ્યું હતું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 24 માર્ચે સાંજે 4 વાગ્યે એ ડિવિઝન પોલીસ મથકે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વ્યાજખોરીનો ભોગ બનેલા લોકો પોતાની રજૂઆત કરી શકશે. સાથે જ જે નાગરિકોને નાણાંકીય જરૂરિયાત હોય તેઓ પોતાના આધાર-પુરાવા (ડોક્યુમેન્ટ્સ) લઈને આવશે તો તેમને બેંકો દ્વારા લોન પણ આપવામાં આવશે. જેથી મોરબી શહેર અને એ ડિવિઝન વિસ્તારની જનતાને આ કાર્યક્રમમાં વધુમાં વધુ ભાગ લેવા મોરબી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.











