મોરબી : કીડીને કણ અને હાથીને મણની પરંપરા મુજબ કીડીયારું પૂરવાનું અનેરું મહત્વ છે, પરંતુ અજાણતામાં આપણે કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. મોરબીના પર્યાવરણ પ્રેમી ગ્રુપ ‘વન વગડો’ અને ‘મયુર નેચર ક્લબ’ દ્વારા આ બાબતે નાગરિકોને એક ખાસ અપીલ કરવામાં આવી છે.
ઝાડના મૂળ નબળા પડી શકે છે
સામાન્ય રીતે લોકો નાળિયેરના ત્રોફામાં લોટ ભરીને તેને ઝાડના થડ કે મૂળ પાસે મૂકી દેતા હોય છે. વન વગડો ગ્રુપના વિકાંતસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, જ્યારે મોટી સંખ્યામાં કીડીઓ ત્યાં એકઠી થાય છે, ત્યારે તેઓ પોતાનો ખોરાક સંગ્રહવા માટે ઝાડના મૂળ પાસેની માટી બહાર કાઢે છે. આ પ્રક્રિયાને કારણે ઝાડના મૂળ નબળા પડી જાય છે અને સમય જતાં તે ઝાડ પડી જવાથી જાનહાનિ થવાનો પણ ભય રહે છે.
કુદરતી સંતુલન જાળવવા અનુરોધ
પર્યાવરણ પ્રેમીઓના મતે, કુદરતે દરેક જીવ માટે ખોરાકની વ્યવસ્થા કરી જ છે. કીડીનો મુખ્ય ખોરાક અન્ય જીવજંતુઓ અને તેના અવશેષો હોય છે. આમ છતાં, જો કોઈને કીડીયારું પૂરવું જ હોય, તો તે માટે ઝાડ કે છોડથી દૂર કોઈ ખુલ્લી જગ્યા પસંદ કરવી જોઈએ જેથી વનસ્પતિને કોઈ નુકસાન ન થાય.
મયુર નેચર ક્લબના જીતુભાઈ ઠક્કર દ્વારા પણ લોકોને પર્યાવરણના હિતમાં આ બાબતનું ધ્યાન રાખવા વિનંતી કરવામાં આવી છે. અજાણતા થતી આ ભૂલ મોટા વૃક્ષોના અકાળે મૃત્યુનું કારણ બની શકે છે, માટે જાગૃત બનવું જરૂરી છે.













