મયુર રાવલ હળવદ
નવનિર્મિત રથમાં બિરાજમાન થશે રામલલ્લા; બપોરે ૪ બાદ શહેર રહેશે સ્વયંભૂ બંધ નગર રોશનીથી ઝળહળ્યું, ‘જય શ્રી રામ’ના નાદથી ગુંજશે શહેર
છોટા કાશી તરીકે ઓળખાતા હળવદ શહેરમાં રામનવમી પર્વને લઈને ભવ્ય તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દર વર્ષની પરંપરા મુજબ નગરના મુખ્ય ચોક, બજારો અને રાજમાર્ગોને કેસરી ધજા-પતાકા તેમજ આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે, જેના કારણે આખું શહેર ઝળહળી ઉઠ્યું છે.
રામનવમી નિમિત્તે તા. ૨૬મી ગુરુવારે બપોરે ૪ વાગ્યા બાદ શહેર સ્વયંભૂ બંધ રહેશે. શહેરના વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી આ ધાર્મિક ઉજવણીમાં જોડાશે. સાંજે ૪ વાગ્યે લક્ષ્મીનારાયણ મંદિરેથી ભગવાન રામલલ્લાને નવનિર્મિત રથમાં બિરાજમાન કરી વિશાળ શોભાયાત્રા નીકળશે.
આ શોભાયાત્રામાં બાઈક રેલી, ઘોડેસવારી અને વિવિધ આકર્ષક ઝાંખીઓ સામેલ રહેશે. ‘જય શ્રી રામ’ના નાદ સાથે નગરના મુખ્ય માર્ગો પર ભવ્ય પરિભ્રમણ કરવામાં આવશે. ઠેરઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે શરબત અને ઠંડા પીણાંના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે.
શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ કમાનો અને આકર્ષક સજાવટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નગરના તમામ સમાજના લોકો ઉત્સાહભેર આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત બન્યું છે.
શોભાયાત્રા શહેરભરમાં ફરીને સાંજના સમયે વૈજનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પહોંચશે, જ્યાં સાધુ-મહંતોના આશીર્વાદ સાથે મહા આરતી બાદ સમાપન થશે.
આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે હળવદ પી.આઈ. આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.










