મોરબી : મોરબીમાં સમસ્ત જૈન સમાજ (સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર સહિત) દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે મોરબી શહેરમાં એક વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રથયાત્રા દરબારગઢ દેરાસરથી પ્રસ્થાન પામીને બજાર લાઇન, નેહરુ ગેટ, ગ્રીન ચોક, બસ સ્ટેન્ડ અને રામ ચોક થઈને બોયઝ હાઈસ્કૂલ ખાતે પહોંચશે, જ્યાં ધર્મસભા યોજાશે. આ સમગ્ર આયોજન ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી મહારાજ સાહેબ તેમજ અન્ય સાધુ-સાધ્વીજીઓની નિશ્રામાં કરવામાં આવ્યું છે.
રથયાત્રાના મુખ્ય આકર્ષણોમાં કળશધારી બાળાઓ, ધર્મના પ્રતીક સમો ચાંદીનો રથ જેમાં ભગવાન બિરાજમાન છે, ભગવાનના પારણા સાથેની બગી અને ભગવાનના ફોટાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જૈન ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવતા ત્રિશલા માતાજીના 14 સ્વપ્નો પણ દર્શાવવામાં આવ્યા હતા. વિશા શ્રીમાળી યુવક મંડળ દ્વારા ત્રિશલા માતાજી, 14 સ્વપ્ન અને ભગવાનના ચાલતા અભિષેકનો એક આકર્ષક ફ્લોટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. ગુરુદેવની પ્રેરણાથી આ વર્ષે આ યાત્રામાં 600 થી 700 જેટલા શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા છે.
આયોજકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ પોલીસ તંત્ર, સરકારી તંત્રના સહકારની નોંધ લઈ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતમાં, ભગવાન મહાવીર સ્વામીના ‘અહિંસા પરમો ધર્મ’ના સંદેશને યાદ કરીને, હાલમાં વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ અને અશાંતિના માહોલ વચ્ચે વૈશ્વિક શાંતિ સ્થપાય તેવી સમસ્ત જૈન સમાજ દ્વારા ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી.













