મોરબી જિલ્લામાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર રહેલા આરોપી અજય રાયસીંહ પરમારને જિલ્લા કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ કેસમાં આરોપી નંબર-1 ઉદયભાઈ રામખેલાવન વર્મા ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો વેચાણ કરવા માટે રાખતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી, જેમાં તેઓ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી નંબર-2 આરીફ ઉર્ફે ભુરો ફકીર પાસેથી ગાંજાનો જથ્થો મેળવી વેચાણ માટે રાખવામાં આવ્યો હતો.
આ કેસમાં સહઆરોપી તરીકે અજય રાયસીંહ પરમારનું નામ બહાર આવ્યું હતું, જેને એસઓજી ટીમ દ્વારા ઝડપીને તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો. આરોપી તરફથી વકીલ મયુરસિંહ જાડેજા અને જે.ડી. સોલંકી દ્વારા જિલ્લા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી પક્ષની દલીલો માન્ય રાખી અજય પરમારને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપી તરફથી મોરબી જિલ્લાના અનેક યુવા વકીલો સહિત જયેશ પટેલ, મયુર ઉભડીયા, દીપક મકવાણા, પીન્ટુ પરમાર, નીલેશ ચાવડા, હસમુખ ચાવડા, વીરેન્દ્રસિંહ રાઠોડ, આરતી અમૃતિયા, જીતેન્દ્ર વાઢેળ, વીરલ છનીયારા, જયકાંત મકવાણા તેમજ ભાવીન ભંખોડીયા અને રાહુલ ચાવડા હાજર રહ્યા હતા.
હાલમાં આ કેસમાં આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.










