મોરબીના બે ગેમ ઝોનના સંચાલકો સામે ફોજદારી ગુન્હો દાખલ
બંને ગેમઝોનના સંચાલકે મનોરંજન સર્ટી, ફાયર નોઝ કે બી યુ પરમીશન લીધી ન હોવાથી કાર્યવાહી થઈ
મોરબી : રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિ કાંડની દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે સમગ્ર ગેરકાયદે ધમધમતા આવા મોતના માચડા સામે કાર્યવાહી કરવા માટે તૂટી પડવાનો આદેશ આપતા મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ સાથે મળીને શહેરના ભદ્ર વિસ્તારમાં મનોરંજન સર્ટી, ફાયર નોઝ કે બી યુ વગર ગેરકાયદે ધમધમતા બે ગેમ ઝોન અગાઉ તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા પછી હવે આ બન્ને ગેમ ઝોનના સંચાલકો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ અગ્નિ કાંડની દુર્ઘટનાના પગલે મોરબીના વહીવટી તંત્રએ નીતિ નિયમો વિરુદ્ધ ધમધમતા બે ગેમ ઝોન ઉપર તવાઈ ઉતારી જે તે વખતે બંધ કરી દીધા હતા. ત્યારે હવે મોરબી ઇન્ચાર્જ સર્કલ ઓફિસરે ખુદ ફરિયાદી બનીને મોરબી શહેરના બે ગેમઝોન સામે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં મોરબી રાજકોટ હાઈવે પર આવેલ થ્રિલ એન્ડ ચીલ ગેમ ઝોનના સંચાલક મિલન વલમજીભાઈ ભાડજા સામે અને શહેરના પોશ વિસ્તાર એસ પી રોડ પર આવેલ લેવલઅપ ગેમઝોનના સંચાલક પ્રિન્સ અમૃતલાલ બાવરવા સામે નોંધાયેલી ફરિયાદમાં મુજબ બંને ગેમઝોનના સંચાલકે બે માળનું પતરાના શેડવાળું ગેમઝોન ઉભૂ કર્યું હતું અને આ બન્ને ગેમઝોનના સંચાલકે મનોરંજન સર્ટી, ફાયર નોઝ કે બી યુ પરમીશન લીધી ના હતી. એટલે આ બન્ને સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.
ફાયર એનઓસી અને બી યુ પરમિશન વગરની કોઈપણ ઇમારત સામે લટકતી તલવાર
રાજ્ય સરકારના આદેશને પગલે મોરબી વહીવટી તંત્રએ રાજકોટના અગ્નિ કાંડને પગલે શહેરભરમાં આવેલા ફાયર એનઓસી અને બી યુ પરમિશન વગરની કોઈપણ બહુમાળી ઇમારતોનો સર્વે કરતા આ નિયમો વગર જ મોટાભાગની રેસીડન્સી અને કોમર્શિયલ બીલડીગો ધમધમતી હોવાનું બહાર આવતા નોટિસ ફટકારી હતી. જો કે સરકારે ફાયર સુવિધા ન હોય એવી કોઈપણ ઇમારત હોય એની સામે એફઆઈઆર નોંધી કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો. તેથી તંત્રની અલગ અલગ ટિમોની તપાસમાં મોરબીની એકપણ બીલડીગમાં ફાયર એનઓસી ન હોય એની સામે કાર્યવાહી તલવાર લટકતી રહી છે અને આ બધા સામે ક્યારે ફોજદારી થશી જોવું રહ્યું.




