11 આરોપીઓને આજીવન સજા કેસમાં તત્કાલિન એસપી કરણરાજ વાઘેલાની મહત્ત્વની ભૂમિકા
મોરબી : મોરબીના ચકચારી વર્ષ 2018ના મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ત્રીપલ મર્ડર કેસમાં સચોટ ઉંડાણપૂર્વક પોલીસ તપાસ અને સરકારી વકીલની દલીલોને આધારે મોરબી સેસેન્સ કોર્ટના ન્યાયાધીશ ડી.પી.મહિડા સાહેબે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેમાં તત્કાલીન મોરબી એસપી હાલ વલસાડ એસપી આઇપીએસ ડૉ.કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસની તે વખતની ટીમે ઊંડાણ પૂર્વક અને તટસ્થ તપાસ હાથ ધરીને આ ત્રિપલ મર્ડર કેસમાં 12 આરોપીઓની ધરપકડ કરીને આ આરોપીઓ વિરુદ્ધ સજ્જડ અને મજબૂત 37 મૌખિક અને 63 દસ્તાવેજી પુરાવા તેમજ વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા હતા. આ સાથે જ આરોપીઓને કડક સજા થાય તે માટે મોરબી જિલ્લા સરકારી વકીલ વી.સી.જાનીએ ધારદાર દલીલો કરી હતી. અંતે આરોપીઓને સજા અપાવવામાં સફળતા મળી હતી.આ કેસમાં એક આરોપીનું મોત થઈ ગયું છે. ત્યારે નામદાર કોર્ટ દ્વારા તમામ 11 આરોપીને આજીવન કેદની સજા તથા 50-50 હજાર રૂપિયા દંડ ફટકારવા આવ્યો હતો.











