પરમ શિવભક્ત અને ત્રીજા શિવપરિવાર મંદિરનું નિર્માણ કરનાર સંજયભાઈ ધોળકિયાનું મોરબી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા અદકેરૂ સન્માન
મોરબી : ભગવાન ભોળાનાથ, શિવશંકરનો શ્રાવણ માસ હાલ ચાલી રહ્યો છે. શિવ ભક્તો ભોળીયાનાથની ભક્તિમાં લીન બન્યા છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે મોરબીના યુવા બિલ્ડર તરીકે જાણીતા અનન્ય ભોળાનાથ મહાદેવના પરમ ભક્ત અને સેવાભાવી સંજયભાઈ રમણીકભાઇ ધોળકિયા પરિવાર દ્વારા મોરબીમાં ત્રીજા શિવપરિવાર મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે.
પ્રથમ મોરબીના વાવડી રોડ પર બાદમાં શ્રદ્ધા પાર્કમાં અને હાલ નવલખી રોડ પર આવેલ બ્રહ્મપુરી સોસાયટીમાં આ સુંદર શિવપરિવાર મંદિર નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમાં શિવ, પાર્વતી, ગણેશ સહીત શિવપરિવારની મૂર્તિપ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. સંજયભાઈ નો સમગ્ર પરિવાર શિવના રંગે રંગાયો છે.
મોરબી પંથકમાં વ્યાસ સમાજ સહીત અન્ય સમાજમાં પણ થતા સેવાકાર્યોમાં હંમેશા તન, મન અને ધનથી સહકાર આપતા સંજયભાઈ ધોળકિયા વ્યાસ જ્ઞાતિના ગૌરવમાં વધારો કરતા કાર્યો કરતા હોવાથી વ્યાસ પ્રગતિ મંડળ, મોરબીના આગેવાનો પ્રવિણભાઇ વ્યાસ, બાબુભાઇ વ્યાસ, વસંતભાઈ વ્યાસ, નિલેશભાઈ વ્યાસ, ડી. જી. વ્યાસ, દિવ્યેશ વ્યાસ સહિતનાઓ દ્વારા પાઘડી પહેરાવી, શાલ ઓઢાડી પુષ્પહાર દ્વારા તેમનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, બ્રહ્મસમાજ અગ્રણી ભુપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, દિલીપભાઈ આદ્રોજા, ભરતભાઈ અમૃતિયા, યશવંતસિંહ રાણા સહીત અગ્રણીઓં ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રી આશિષભાઇના આચાર્ય પદે દશ જેટલા ભૂદેવો વિધીમાં જોડાયા હતા.
