શ્રી સિદ્ધિવિનાયક ફાઉન્ડેશન દ્વારા જડેશ્વરમાં મંગેશ્વર મહાદેવની પાછળ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર જેવું સૌરાષ્ટ્રનું સૌથી મોટું મંદિરનું નિર્માણ કરવાની જાહેરાત
મોરબી : મોરબીના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવે આ વર્ષે તેના 17મા વર્ષમાં ભવ્યતાથી પ્રવેશ કર્યો છે. શ્રી સિદ્ધિવિનાયક ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ મહોત્સવ માત્ર ધાર્મિક આયોજન નથી, પરંતુ સમાજને સકારાત્મક સંદેશ આપવાનું એક માધ્યમ પણ બન્યો છે. આ વર્ષના આયોજનમાં શ્રદ્ધાળુઓ માટે ભવ્ય પંડાલ, સુચારુ વ્યવસ્થા અને ખાસ કરીને ટ્રાફિક વ્યવસ્થા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગણપતિજી 27 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી 11 દિવસ સુધી બિરાજમાન રહેશે.
ગણપતિ મહોત્સવ દરમિયાન આરતીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રથમ આરતી રાત્રે 7:00 થી 7:30 વાગ્યે અને બીજી આરતી 9:00 થી 9:30 વાગ્યે યોજાશે. વિસર્જનનો કાર્યક્રમ 6 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે શરૂ થશે અને રાત્રે 11 વાગ્યે પૂર્ણ થશે. તેમજ વિસર્જન સરકાર દ્વારા નિર્ધારિત કરેલ જગ્યાએ જ કરવામાં આવશે, જેમાં અંદાજે 25 થી 30 હજાર લોકો જોડાશે તેવી સંભાવના છે. તો મહોત્સવના 11 દિવસ દરમિયાન શરૂઆતના દિવસોમાં 7 થી 8 હજાર અને ત્યારબાદ 15 થી 20 હજાર શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે તેવી અપેક્ષા છે. તેમજ આ મહોત્સવમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો પણ હાજરી આપવાના છે.
મહોત્સવના આયોજક ઓમ બારૈયાએ જણાવ્યું કે સિદ્ધિવિનાયક કા રાજા દ્વારા દર વર્ષે નવી થીમ અને નવા મેસેજ સાથે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે અહીં શ્રદ્ધાળુઓને ‘રાજાધિરાજ’ થીમ હેઠળ એક ભવ્ય મહેલનો અનુભવ થશે. આ થીમનું બેકગ્રાઉન્ડ 27 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. આયોજકોનો ઉદ્દેશ્ય એવો છે કે દર્શનાર્થીઓને એવી અનુભૂતિ થાય કે જાણે સાક્ષાત દાદા સામે જ બિરાજમાન છે. તેમજ ખાસ મૂર્તિ છેલ્લા નવ વર્ષથી મુંબઈના સ્વ. રાજન ખાતુ અને તેમના પુત્ર નિખિલ ખાતુ પાસેથી લાવવામાં આવે છે.
આયોજકોએ દર્શનાર્થીઓને વિનંતી કરી છે કે ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે તેઓ પૂરતો સહયોગ આપે. પંડાલ માટે 8 વીઘા અને પાર્કિંગ માટે અલગ અલગ જગ્યાએ કુલ 15 વીઘા જમીનની વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકોએ ખાસ કરીને બાઈક પર દર્શન માટે આવવાની અને ટ્રાફિક જાળવવા માટે સૂચિત જગ્યા પર જ પાર્કિંગ કરવાની અપીલ કરી છે, જેથી આસપાસના લોકોને કોઈ અસુવિધા ન થાય.
સિદ્ધિવિનાયક કા રાજા મહોત્સવ દર વર્ષે એક નવો સંદેશ આપે છે. ગયા વર્ષે ‘સેવ ટ્રી, સેવ એન્વાયર્નમેન્ટ’ની થીમ હતી અને આ વર્ષે પણ આ સંદેશ જનતાને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, શ્રી સિદ્ધિવિનાયક ફાઉન્ડેશન દ્વારા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર જેવું જડેશ્વરમાં મંગેશ્વર મહાદેવની પાછળ સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને ભવ્ય મંદિર બનાવવાનું આયોજન છે. આ મહોત્સવ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌને આનંદ આપે તે રીતે આયોજિત કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારની સ્પર્ધામાં પણ ભાગ લેવામાં આવ્યો છે.












