મોરબી : મોરબી જિલ્લાના રેવન્યૂ વિભાગના કર્મચારીઓએ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત ‘National Conference on Land Administration & Disaster Management’ માં ભાગ લેવા જઈ રહેલા મોરબી જિલ્લાના નાયબ મામલતદારો, ક્લાર્ક અને રેવન્યયૂ તલાટીઓએ રસ્તામાં અકસ્માતમાં ઘાયલ થયેલા એક વ્યક્તિને ત્વરિત મદદ કરીને જીવ બચાવ્યો હતો.
4 ઓક્ટોબર, 2025 ના રોજ વહેલી સવારે લગભગ 3:30 કલાકે, આ કર્મચારીઓ જ્યારે બસ દ્વારા ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે હળવદ તાલુકાના કડીયાણા ગામે રોડ પર તેમને એક બાઈક સવાર વ્યક્તિ ગાય સાથે અથડાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો જોવા મળ્યો. જેથી વિલંબ કર્યા વિના બસ ડ્રાઇવરને સૂચના આપીને બસ ઊભી રખાવી તમામ કર્મચારીઓ તરત જ ઘાયલ વ્યક્તિની મદદ માટે દોડી ગયા હતા. તેમણે ઇજાગ્રસ્ત વ્યક્તિને રોડ પરથી સાઇડમાં સુરક્ષિત જગ્યાએ બેસાડ્યો હતો.
તાત્કાલિક પગલાં લેતા, નાયબ મામલતદાર ભરતભાઈ ડોડીયાએ 108 પર કોલ કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. ત્યારબાદ, નાયબ મામલતદાર હિતેશભાઈ કુંડારીયાએ સમગ્ર પરિસ્થિતિ સાંભળી હતી. એમ્બ્યુલન્સ ન આવે ત્યાં સુધી સેમિનારમાં જઈ રહેલા તમામ રેવન્યૂ કર્મચારીઓએ સ્થળ પર હાજર રહીને સંકટ સમયમાં મદદ પૂરી પાડી હતી. સરકારી કામગીરી અર્થે જતા હોવા છતાં, માનવ જીવને પ્રાથમિકતા આપીને રેવન્યૂ કર્મચારીઓએ ખરા અર્થમાં માનવતા મહેકાવીને અનુકરણીય કાર્ય કર્યું છે.











