

મોરબી જિલ્લાના ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા નીચે મુજબની રજુઆત કરવામાં આવેલ
આપ સાહેબશ્રીને જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા 2023માં TAT-1 અને TAT-2માં પાસ થયેલા ઉમેદવારોની 7500 જેટલી જગ્યા પર ભરતી કરવા જણાવવામાં આવ્યું છે. પરંતુ સાહેબશ્રી રાજ્યમાં NEP-2020 અંતર્ગત TAT પરીક્ષા નવી શિક્ષણનીતિ મુજબ લેવામાં આવેલ છે જે દ્વિસ્તરીય પદ્ધતિમાં કઠીન મહેનત કરી અંદાજે 38730 જેટલા ઉમેદવારો ઉતીર્ણ થયા છે. જેની સામે રાજ્ય સરકાર દ્વારા માત્ર 7500ની ભરતી કરવા જણાવામાં આવ્યું છે. તો આપ સાહેબશ્રીને અમારી અરજ છે કે અમારી અંદાજે 38730 જેટલા ઉમેદવારો સામે માત્ર 7500 ની જાહેરાતથી અમોને અન્યાય થાય એમ છે.
રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં હાલમાં નિવૃત થતા શિક્ષણ સહાયકો અને ખાલી જગ્યા સહીત 17000 કરતા વધુ જગ્યા ખાલી છે. અને આગામી 31/10/2024 સુધીમાં પણ વધુ શિક્ષણ સહાયકની જગ્યા ખાલી થનાર હોય જેથી રાજ્યના શિક્ષણ પર ગંભીર અસર થનાર છે. જેથી આપ સાહેબશ્રી આ બાબતે વિભાગને સૂચના આપી 7500 શિક્ષણ સહાયકની ભરતીમાં વધારો કરવા જણાવશો અને અમારા જેવા રાજ્યના અંદાજે 38730 જેટલા યુવાનોને ન્યાય આપશો એવી આપશ્રી પાસે ખૂબ વધુ અપેક્ષા રાખીએ છીએ.
વધુમાં આપશ્રીને જણાવવાનું કે 2023માં લેવામાં આવેલ TAT વિસ્તરીય પરીક્ષાની માર્કશીટ આવનાર બીજી TAT પરીક્ષાના પરિણામ સુધી માન્ય રાખવામાં આવેલ છે. જેથી ભરતી ઓછી સંખ્યામાં કરવામાં આવે તો અમોને ખૂબ અન્યાય થાય એમ છે કારણ છે કે અમારી ઉંમર પણ પૂર્ણ થઈ જાય છે અને અમારા પર પારિવારિક જવાબદારીઓ પણ હોવાથી વારંવાર તૈયારી પણ કરી શકીએ નહીં જેથી આપશ્રી જેમ બને એમ 9 થી 12 (માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક)માં શિક્ષણ સહાયકની વધુમાં વધુ ભરતી કરશો એવી આશા રાખીએ છીએ. વધુમાં ધારાસભ્ય કાંતિભાઈએ આ રજુઆત માનનીય મુખ્યમંત્રી સાહેબ, શિક્ષણમંત્રી તેમજ રાજ્ય શિક્ષણ મંત્રીને કરી આપેલ છે. જેથી ટેટ ટાટ પાસ ઉમેદવારો તેમના આભારી છે.