મોરબીનો પાટીદાર સમાજ ઔદ્યોગિક, ધંધાકીય અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે.પરંતુ હમણાંથી પાટીદાર યુવાનો ઉપર યેનકેન પ્રકારે દબાવા ધમકાવીને અત્યાચારોના બનાવો વધી રહ્યા છે. તેથી આ અત્યાચાર રોકવા સ્વરક્ષણ મેળવવું જરૂરી છે આ હેતુથી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરવામાં આવી છે. આ સંગઠન હેઠળ પાટીદાર યુવાનો કલેકટર સમક્ષ સ્વરક્ષણ માટે હથિયારનું લાયસન્સ માગશે.
મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના મનોજભાઈ પનારાએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ સુશિક્ષિત થઈને ખૂબ જ આગળ વધી રહ્યો છે. પણ અમુક લેભાગુ તત્વો અને લુખ્ખાઓ પાટીદારો ઉપર અત્યાચાર આચરીને પાટીદારોની પ્રગતિ અવરોધે છે.જેમાં મોરબી જિલ્લાના પાટીદાર સમાજ દીકરા દીકરીઓ ઉપર થતા અન્યાય, અત્યાચાર જેવા કે,વ્યાજના વિજચક્રમાં ફસાવી જીવવું હરામ કરી દેવું, ડરાવવા, ધમકાવવા, અપહરણ કરી માર મારવો,હત્યાઓ કરવી, આપઘાત માટે ફરજ પાડવી સહિતના બનાવો વધી રહ્યા છે. પાટીદારો ઉપર થઈ રહેલા અત્યાચાર સામે કાયદાકીય રીતે લડત ચલાવવાના એકમાત્ર હેતુથી પાટીદાર યુવા સંઘની રચના કરવામાં આવી છે. આથી પાટીદાર યુવા સેવા સંઘના મિત્રોને સ્વરક્ષણ માટે પિસ્તોલની જરૂરિયાત હોય આ હથિયાર માટે લાયસન્સ માંગવા માટેનું આવેદન આવતીકાલે તા.28 ને ગુરુવારે જિલ્લા સેવા સદન ખાતે કલેકટરને આપશે તેમ જણાવ્યું હતું.
