રોડ પર કરવામાં આવેલા ઢગલાંથી અકસ્માત સર્જાવાની ભીતિ વ્યક્ત કરાઈ
મોરબી : ટીમડી પાટીયાથી પીપળી ગામ સુધીના આર.સી.સી. રોડ પર 3 અલગ-અલગ માટીના ઢગલા કરી અડધો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
પંકજભાઈ આદ્રોજા દ્વારા કહેવામાં આવ્યું છે કે, આમ જો રોડ પર રાત્રીના સમયે ઢગલા કરી નાખે તો આમ જનતાને અકસ્માતની ભીતિ રહે છે. છતાં તંત્ર પગલાં કેમ નથી લેતું ? તંત્ર જાગીને આવી ગેંગ પર પગલાં ક્યારે લેશે ? વારંવાર અનેક જગ્યાએ આવી રીતે અડધાં રોડ પર જો ઢગલા કરે છે તો આ તંત્ર દ્વારા પગલાં કેમ નથી લેવાતાં ? શું આમાં તંત્રની પણ મીલીભગત છે ? કે તંત્ર આવી ગેંગ થી ડરે છે ? સિરામિક ઉદ્યોગમાં ગામડેથી બાઈક ચાલકો અપડાઉન કરતા હોય છે જ્યારે રાત્રીના સમયે ઘરે જવા માટે અકસ્માત થાય તો જવાબદાર કોણ ? સિરામિક ઉદ્યોગ માટે તંત્ર દ્વારા ડમ્પિંગ સાઈટ આપવામાં આવે એવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે જેથી કરીને રોડ પર આવાં ઢગલા ન કરે અને આમ જનતાનું જીવન જોખમાય નહિ. જો તંત્ર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉદ્યોગકારોને સાથે રાખી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી છે.
