માળીયા: મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતા હેઠળ આયોજિત NCORD ની સૂચના અન્વયે ડ્રગ્સ અને નશાકારક દ્રવ્યો અંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોમાં જાગૃતતા કેળવાય તેમજ રસ્તાઓ પર થતા અકસ્માત અને તેનાથી થતી જાનહાની અટકાવવા, ટ્રાફિકના નિયમો અંગે, માર્ગ સલામતી અંગે જાગૃતતા કેળવાય તે હેતુથી માળીયા તાલુકાની સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચી ખાતે કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ RTO કચેરી મોરબી, મોરબી જીલ્લા પોલીસ ટ્રાફિક કચેરી તથા SOG કચેરી મોરબીના સયુંકત ઉપક્રમે RTO કચેરીના મોટર વ્હીકલ એક્ટ ઇન્સ્પેક્ટર આર.એ. જાડેજાએ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો તેમજ સિગ્નલ વિશેની પ્રેઝન્ટેશનં દ્વારા સમજૂતી આપી અને અકસ્માત નિવારણ માટેની સાવચેતીઓ વિશે સમજ આપી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

આ કાર્યક્રમની સાથે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી દ્વારા શાળામાં તમાકુ વ્યસન નિષેધ અને નિયત્રંણ વિશેની ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.. જેમાં કુલ 104 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.નિબંધ સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબરના વિદ્યાર્થીઓને આરોગ્ય કેન્દ્ર તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ભાગ લેનાર તમામ બાળકોને પણ બોલપેન આપી પ્રોત્સાહન આપ્યું હતું..આ તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી મહેશભાઈ વાઘેલા એ તમાકુ અને વ્યસનથી થતા નુકશાન અને સ્વાસ્થ્ય પર થતી આડઅસર વિશે માહિતી આપી તમાકુ અને વ્યસન થી દૂર રહેવા ટકોર કરી હતી.

આ પ્રસંગે સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય તેમજ તમામ શિક્ષકગણ અને ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ નશાકારક અને રોડ સેફટી અંગે જાગૃતિ સેમીનારમાં હાજર રહ્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી તરફથી તમામ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.અંતે શાળાના આચાર્ય મેહુલભાઈ ભોરણીયા એ તમામ કચેરીમાંથી આવેલ પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો..