ટંકારા તાલુકાના નેકનામ ગામની સિમમાંથી ગઈકાલે સવારના સમયે ખેતશ્રમિકના બે દોઢ વર્ષ અને ત્રણ વર્ષના પુત્રનું અપહરણ થતા ગંભીર બનાવ મામલે વાંકાનેર ડીવાયએસપી, એલસીબી, અને ટંકારા સ્થાનિક પોલીસની ટીમોએ રાત ઉજાગરા કરી તમામ તાકાત કામે લગાડી બાળકોનું અપહરણ કરનાર મહિલાને અવાવરું જગ્યાએથી દબોચી લઈ બાળકોને મુક્ત કરાવ્યા હતા.
માસૂમ બાળકોના અપહરણની આ ચોંકાવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં કાંતિભાઈ પટેલની વાડીએ ખેત મજૂરી કરતા પડધરી તાલુકાના દહીંસરડા ગામના કેસરભાઈ જેઠાભાઇ બારિયા ઉ.23એ ટંકારા પોલીસ મથકમાં ગઈકાલે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં તેમના ત્રણ વર્ષના પુત્ર હાર્દિક અને દોઢ વર્ષના પુત્ર વૈભવનું વાડીની ઓરડી પાસે રમતા હતા ત્યારે કોઈ અજાણી વ્યક્તિ અપહરણ કરીને લઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવતા ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ટંકારા પીઆઇ એસ.કે.ચારેલે નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેરને જાણ કરતા એલસીબી સહિતની ટીમોએ તપાસ શરૂ કરી સીસીટીવી, હ્યુમનસોર્સ અને ટેક્નિકલ ટીમોને મેદાને ઉતારી તમામ દિશામાં અલગ અલગ ટીમોને દોડાવી હતી. બીજી તરફ પોલીસની મહેનત પણ રંગ લાવી હતી અને બાતમીદારો મારફતે બાળકોનું અપહરણ કરનાર મહિલા હોવાની જાણકારી મળી હતી.
દરમિયાન ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી પોલીસ ટીમોને બાળકોનું અપહરણ કરનાર મહિલા વાંકાનેર તાલુકાના વાલાસણ તરફ ગઈ હોવાની સચોટ માહિતી મળતા પોલીસે તમામ તાકાત કામે લગાડી વાલાસણ ગામની સીમમા તપાસ શરૂ કરતા એક અવાવરું જગ્યાએથી અપહરણ કરનાર મહિલા બન્ને માસૂમ બાળકો સાથે મળી આવતા મહિલા અને માસૂમ બાળકોને ટંકારા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને માસૂમ બાળકોને તેમના માતા પિતાને સોંપવામાં આવ્યા હતા. બીજી તરફ બાળકોનું અપહરણ કરનાર મહિલાએ પોલીસને પણ ચકરાવે ચડાવી હોવાનું અને પોતાનું ફર્યું ફર્યું નામ બોલતી હોય પોલીસે મહિલાની સાચી ઓળખ મેળવવા તપાસ જારી રાખી છે. માસૂમ બાળકોને અપહરણ કરનાર મહિલાની ચંગુલમાંથી મુક્ત કરાવી સહી સલામત શોધી કાઢી હતી.
