મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની વિવિધ ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકારી, અર્ધસરકારી આરામગૃહ, ડાક બંગલા, વિશ્રામગૃહ, સરકારી રહેણાંક મકાન, તેની સાથે જોડાયેલ આંગણ, કમ્પાઉન્ડ સહિત તમામ સ્થળો પર કોઈપણ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટોને રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર-પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર નિયંત્રણ મુકતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર કે.બી.ઝવેરી, મોરબી દ્વારા બહાર પડાયું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં વિશ્રામગૃહ, અતિથિગૃહ, ડાક બંગલાના સ્થળો પર રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગ યોજવા ૫૨, આવા આવાસના કમ્પાઉન્ડમાં રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાના વાહનોના પાર્કિંગ કરવા પર, ચૂંટણી પ્રચાર હેતુ માટે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ, અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે રાજયના કાયદાની જોગવાઈ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલ હોય તો તેમને વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે, સિવાય કે આવો રૂમ ચૂંટણી ફરજ પર નિમાયેલ અધિકારી/ નિરિક્ષકને અગાઉથી ફાળવવામાં આવેલ ન હોય. પરંતુ આવી ઝેડ સ્કેલની સીકયુરીટી ધરાવતા વિશ્રામગૃહ/ અતિથિગૃહમાં તેઓ રહે તે સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ હાથ ધરી શકશે નહીં. આ જાહેરનામું મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં આગામી તારીખ ૧૮/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર બનશે.