મોરબી મહાનગરપાલિકા દ્વારા રૂ.૧ લાખથી વધુ રકમના ૨૫૭ મિલકત ધારકોને ગત તારીખ ૦૧/૦૧/૨૦૨૫ થી તારીખ ૦૯/૦૨/૨૦૨૫ સુધીમાં વોરંટ બજવણી કરવામાં આવેલ. જેમાંથી ૪૨ મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન ટેકસ શાખા દ્વારા ૯ મિલકતોને સીલ કરવામાં આવી હતી. તેમજ રૂ.૭૫,૦૦૦ થી રૂ.૧,૦૦,૦૦૦ સુધીની રકમ બાકીના મિલકત ધારકોને વોરંટ બજવણી કરવાની કામગીરી ટેકસ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી.
ગત તારીખ ૧૫/૦૨/૨૦૨૫ ના રોજ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનરશ્રી સંજય કુમાર સોની તથા ટેકસ શાખાની ટીમ દ્વારા ૬ મિલકત જપ્તી/ટાંચમાં લેવામાં આવી હતી. જેમાંથી ૫ મિલકત ધારકો દ્વારા સ્થળ પર જ ચેક અને રોકડ-રકમ આપીને બાકી વેરાની ભરપાઈ કરવામાં આવી હતી અને આ કામગીરી દરમિયાન ૧ મિલકતને સીલ કરવામાં આવી હતી. મોરબી શહેરની જનતાને બાકી વેરાની તાત્કાલિક ભરપાઈ કરવા માટે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમ નાયબ કમિશનરશ્રી (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.