મોરબી : “સેવા હૈ યજ્ઞ કુંડ સમીધા સમ હમ જલે” પંક્તિને ચરિતાર્થ કરતાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા 7 એપ્રિલ ને સોમવારના રોજ આમરણ ખાતે મહર્ષિ સુશ્રુત મેડિકલ સાધન સહાય કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ સ્તુતિ- પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો સમક્ષ વિપુલભાઈ દ્વારા સેવાએ આપણી સંસ્કૃતિનો પ્રાણ છે. સેવાએ આપણા લોકોના સ્વભાવમાં વણાયેલા સંસ્કારો છે તે બાબતે વિવિધ ઉદાહરણો આપી વાતચીત કરવામાં આવી હતી. સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે સમાજના લોકો પણ સેવા કાર્યમાં પોતાનું યોગદાન આપી સેવિતજનો માટે વિવિધ પ્રકલ્પો ચલાવે તેમજ સેવાને વાસ્તવિક જીવનમાં લાવે તે પણ ખૂબ અગત્યનું છે તે વિશે વાત કરવામાં આવી. આસપાસના લોકોને જ્યારે મેડિકલ સાધનોની જરૂર પડે તો મોરબી સુધી આવવુ પડતું, હવે આ સેવા કેન્દ્રની શરૂઆત થતાં આમરણ તેમજ આસપાસના ગામના ઘણાબધા સેવિતજનોને આ સેવાનો અમૂલ્ય લાભ મળશે.
મેડિકલ સાધનોના દાતા સ્વ.રજનીકાંત હસમુખભાઈ ગાંભવાની સ્મૃતિમાં હસમુખભાઈ ગાંભવા અને પરિવાર દ્વારા આ મેડિકલ સાધનોનું દાન આ મેડિકલ સહાય સાધન કેન્દ્રને કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે દાતા હસમુખભાઈ ગાંભવા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારા, મોરબી જિલ્લા સહ સેવા પ્રમુખ સતિષભાઈ પટેલ, માળિયા તાલુકા કાર્યવાહ હિતેશભાઈ ગોપાણી તેમજ માળિયા તાલુકા સેવા પ્રમુખ જયેશભાઈ ચોટલિયા તેમજ આમરણ ગામ અને આસપાસના ગામોના લોકોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ સેવા કેન્દ્રમાં યોગેશભાઈ વાધડિયા તેમજ કેતનભાઈ કાસુન્દ્રા દ્વારા હાલ સેવા આપવામાં આવશે.


