ગેઝેટમાં મોરબીના જેતપર ગામનો ઉલ્લેખ જ ન હોવાનો મુદ્દો રજૂ કરી પહેલા ગેઝેટ સુધારવાની માંગણી કરાઈ
મોરબી : મોરબીના જેતપર ગામેથી પસાર થતી હેવી વીજલાઈનની કામગીરી સામે ખેડૂતોએ વિરોધ નોંધાવી આ મામલે કલેકટરને રજુઆત કરી છે. ખેડૂતોનું કહેવું છે કે ગેઝેટમાં ક્યાંય મોરબીના જેતપર ગામનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. એટલે પહેલા ગેઝેટ સુધારવામાં આવે ત્યારબાદ વાંધા સૂચનો હશે તે અંગેની આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ખેડૂતોએ રજુઆતમાં જણાવ્યુ કે ખાવડા પુલીંગ સ્ટેશન ફેઝ-૩ પાર્ટ-એ અંતર્ગત રીન્યુએબલ એનર્જીને સ્થળાંતરીત કરવા માટે ભારત સરકારની આંતર રાજ્ય ટ્રાન્સમિશન સ્કીમ હેઠળ 765 KV D/C KPS-2 (GIS)-HALVAD ટ્રાન્સમિશન લાઈન નિર્માણની કામગીરી ચાલી રહી છે. અગાઉ કલેકટર કચેરી દ્વારા નોટિસ નોટીસ આપી બોલાવવામા આવેલ હતા. ભારત સરકારના ગેઝેટમાં મોરબી તાલુકાના જેતપર ગામનો કોઈ ઉલ્લેખ થયો નથી. કેન્દ્ર સરકારના વિદ્યુત લાઈન કંપનીને પ્રસ્થાપિત કરવા માટે તા. ૧/૧૧/૨૦૨૩ ના રોજ શરતોને આધિન મંજુરી આપવામાં આવી હતી. તેમાં પણ મોરબી તાલુકાના જેતપર ગામેથી વીજલાઈન પસાર કરવા અંગેનો કોઈ હુકમ થયેલ નથી.
વિજળી અધિનિયમ ની કલમ-૬૮(૧) મુજબ મંજુરી મળ્યા બાદ કંપની દ્વારા વિધુત મંત્રાલયમાં પસાર થતા રુટ નો લે-આઉટ આપ્યા બાદ વિધુત મંત્રાલય ભારત સરકાર દ્વારા મંજુરી આપતા હુકમને ભારત સરકારના ગેઝેટમા પ્રસિધ્ધ કરીને કયા કયા ગામોમા વીજ લાઇનના ટાવર પ્રસ્થાપિત થશે તે અંગેનો વિગતવાર ઓર્ડર ગેઝેટમા કરવામા જાહેર કરવામાં આવે ત્યારબાદ જ તે ગામોમા જ વીજ લાઈનના ટાવર પ્રસ્થાપિત કરવા માટે કંપની હકકદાર રહે.
આ મામલે ખેડુત નિકેતભાઈ પટેલે જણાવ્યું કે ગેઝેટમાં માળિયા તાલુકાના રાપર, પીલુડી, જેતપર ગામ લખવામાં આવ્યા છે. મોરબી તાલુકાનું જેતપર ગામ લખવામાં આવ્યું નથી. એટલે પ્રથમ ગેઝેટમાં સુધારો થાય પછી જે કાંઈ વાંધા સૂચનો હશે તે મુદ્દો આવશે. કંપનીએ અગાઉ બે ખેતરમા કામ ચાલુ કરી દીધું હતું. જેતપર ગામમાં અંદાજે 20થી 23 ટાવર આવે છે. ગામના ખેડૂતોએ ગેઝેટમાં ક્ષતિ હોવાથી વિરોધ નોંધાવ્યો છે.
