મોરબી : ગાંધીનગર ખાતે તા.27-4-2025ને રવિવારના રોજ માધવ ચેરિટેબલ ટ્રસ્ટ-કપડવંજ, બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા, અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ-સરગાસણ દ્વારા સમગ્ર રાજ્યનાં પ્રકૃતિના સંરક્ષણ-સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનાર કુલ 2,525 પર્યાવરણપ્રેમી શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
જેમાં ટંકારા તાલુકાના ભૂતકોટડા પ્રાથમિક શાળામાંથી કલ્પેશભાઈ ધોરી, હરબટીયાળી પ્રાથમિક શાળામાંથી સાંચલા ગીતાબેન, મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાંથી શાળાના આચાર્ય હેતલબેન સોલંકી, રસ્મિતાબેન ભાગિયા અને જાનકીબેન કુબાવત તેમજ ઓરપેટ હાઈસ્કૂલમાંથી આચાર્ય અસ્મિતાબેન ગામીને જીસીઈઆરટી સચિવ એસ. જે. ડુમરાણીયા તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશીના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહેલા શિક્ષકો તેમજ પર્યાવરણપ્રેમી મિત્રોની માહિતી તેમજ ફોટોગ્રાફ્સ એકત્ર કરીને કુલ 2,525 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી અને રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, પ્રદૂષણ નિવારણ, જળ સંચય, પ્લાસ્ટિક મુક્તિ, ઊર્જા બચત, જમીન સુધારણા જેવા વિવિધ પ્રકલ્પોને વેગ આપવા તથા સમાજમાં જાગૃતિ લાવવાનાં હેતુસર રાજ્યના સૌથી મોટા અને વિશિષ્ટતા ધરાવતા ‘પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ-2025’નાં વિતરણનું આયોજન કરીને નવો કીર્તિમાન-રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો. આ તકે ખાસ ઉપસ્થિત રહીને જી.સી.ઈ.આર.ટી. સચિવ એસ.જે. ડુમરાળીયાએ તમામ પર્યાવરણ પ્રેમીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.
