મોરબી : પીપળીયા ચાર રસ્તા પાસેથી ગૌરક્ષકોએ બે બોલેરોમાં ક્રુરતા પૂર્વક લઈ જવાતા 21 પશુઓને બચાવી તેને પાંજરાપોળમાં મોકલી એક શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના ગૌ રક્ષકોને બાતમી મળેલ કે કચ્છ બાજુથી બે બોલેરો લઈને પશુઓને અમદાવાદ અને જામનગર લઈ જવામાં આવી રહ્યા છે જેના આધારે પીપળીયા ચાર રસ્તા પાસે ગૌરક્ષકોએ વોચ ગોઠવી GJ 12 BZ 4224 અને GJ 12 BY 6313 નંબરની બોલેરોને રોકતા એકમાંથી 17 અને બીજામાંથી 4 મળી કુલ 21 પશુઓ ક્રૂરતાપૂર્વક બાંધેલા મળી આવ્યા હતા.
વાહન ચાલકની પૂછપરછ કરતા તેને જણાવેલ કે આ પશુઓ તેને નખત્રાણા બાજુથી ભરેલા હોય અને કતલ માટે લઇ જવાના છે. આ પશુઓને ગૌ રક્ષકોએ બચાવી ખાખરેચી પાંજરાપોળમાં મુક્યા છે. બોલેરો વાહનમાં પશુઓને લઈ જતા ચાર શખ્સને ગૌરક્ષકોએ તાલુકા પોલીસ સ્ટેશન લઈ જઈને ફરિયાદ નોંધાવી હતી. આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના મોરબી, લીંબડી, ચોટીલા, વિરમગામ, કચ્છ અને રાજકોટના ગૌરક્ષકો જોડાયા હતા.
